T20 World Cup 2026માં શાનદાર જીત મેળવ્યા બાદ હવે આખા દેશમાં ઉત્સવ જેવો માહોલ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને પરાજય આપીને ભારતીય ટીમે નવો ઈતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક સફળતા બાદ હવે સૌ કોઈ વિજેતા ટીમની વિક્ટ્રી પરેડની રાહ જોઈ રહ્યા છે. જોકે BCCI તરફથી હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ભવ્ય પરેડ 11 અથવા 12 માર્ચના રોજ યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
સૌ પ્રથમ દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત
અહેવાલો મુજબ ભારતીય ખેલાડીઓ મુંબઈ જતા પહેલા દેશની રાજધાની દિલ્હીની મુલાકાત લેશે. ત્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ફાઈનલમાં જીત મળ્યા બાદ તુરંત જ વડાપ્રધાને ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આ જીતને સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી.
મુંબઈમાં યોજાશે ભવ્ય ઓપન બસ રોડ શો
દિલ્હીથી પરત ફર્યા બાદ ચેમ્પિયન ટીમ મુંબઈ પહોંચશે જ્યાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પરેડ મુંબઈના પ્રખ્યાત મરીન ડ્રાઈવ પર યોજવામાં આવે તેવી શક્યતા છે. પરેડની શરૂઆત નરીમન પોઈન્ટ પાસે આવેલા NCPA થી થઈ શકે છે અને તેનું સમાપન ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં કરવામાં આવશે. વધુમાં વધુ ચાહકો આ ઉજવણીમાં જોડાઈ શકે તે માટે આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યાની આસપાસ શરૂ કરવામાં આવે તેવી ચર્ચા છે.
વાનખેડે સ્ટેડિયમમાં સન્માન સમારોહ
રોડ શો પૂર્ણ થયા બાદ વાનખેડે સ્ટેડિયમમાં એક ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન BCCI દ્વારા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે અને તેમને ઈનામી રકમ પણ એનાયત કરવામાં આવી શકે છે. આ કાર્યક્રમ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓને પોતાના મનપસંદ ખેલાડીઓને નજીકથી જોવાનો લ્હાવો મળશે. અગાઉના અનુભવોને જોતા આ પરેડ દરમિયાન મુંબઈના રસ્તાઓ પર લાખોની ભીડ ઉમટી પડવાની આશા છે.
ચાહકોમાં ભારે ઉત્સાહ
હાલમાં તમામ ક્રિકેટ ચાહકો આ ઐતિહાસિક ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે આ પરેડ યોજાશે ત્યારે મુંબઈની સડકો પર ફરી એકવાર 'નીલા સમંદર' જેવો નજારો જોવા મળશે, જ્યાં લાખો ચાહકો પોતાના ચેમ્પિયન ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરશે.

















