Indian womens Cricket team: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 27 એપ્રિલથી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામે ત્રિકોણીય શ્રેણી રમવા જઈ રહી છે. ભારતીય મહિલા પસંદગી સમિતિએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે, જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી સ્મૃતિ મંધાનાને આપવામાં આવી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ રમાશે. ખાસ વાત એ છે કે ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમમાં 3 નવા ખેલાડીઓને તક મળી છે, જ્યારે 2 સ્ટાર ખેલાડીઓને સ્થાન મળ્યું નથી.
2 સ્ટાર ખેલાડી બહાર થયા
ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમમાં રેણુકા સિંહ અને શેફાલી વર્માને સ્થાન આપવામાં આવ્યું નથી. બંને સ્ટાર ખેલાડી ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યા નથી. સિરીઝ માટે ભારતીય ટીમમાં મોટાભાગે સિનિયર ખેલાડીઓને તક આપવામાં આવી છે. હરમનપ્રીત ઉપરાંત મંધાના, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ અને જેમિમા રેડ્રિગ્સનો બેટિંગ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ખેલાડીઓને પ્રથમ વખત મળી તક
ત્રિકોણીય શ્રેણીમાં ભારતીય ટીમમાં પ્રથમ વખત 3 નવા ખેલાડીઓને તક મળી છે. વિમેન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર સ્પિનર શ્રી ચારણીને તક મળી છે. તેના સિવાય ફાસ્ટ બોલર શુચિ ઉપાધ્યાયને પણ પ્રથમ વખત તક મળી છે. તેણે ચેલેન્જર્સ ટ્રોફીમાં 18 વિકેટ લઈને ધૂમ મચાવી હતી. ફાસ્ટ બોલર કાશવી ગૌતમનો પણ પ્રથમ વખત ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલરે વુમન્સ પ્રીમિયર લીગ 2025માં ગુજરાત જાયન્ટ્સ માટે 11 વિકેટ ઝડપી હતી.
ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અમનજોત કૌર, કાશવી ગૌતમ, સ્નેહ રાણા, અરૂંધતિ રેડ્ડી, તેજલ હસબ્રિસ, શ્રી ચરણી, શુચિ ઉપાધ્યાય.





















