પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ તણાવ વધી રહ્યો છે. ત્યારે હવે, અહેવાલો સૂચવે છે કે તાલિબાને રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ સહિત અનેક મુખ્ય પાકિસ્તાની લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો છે. અહીં ખાસ વાત એ છે કે, ભારતે મે 2025 માં ઓપરેશન સિંદૂર દરમિયાન આ વિસ્તારમાં પણ હુમલો કર્યો હતો. ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આ કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.
અફઘાન સંરક્ષણ મંત્રાલયે રવિવારે લખ્યું હતું કે વાયુસેનાએ પાકિસ્તાનમાં લશ્કરી ઠેકાણા સામે કાર્યવાહી કરી હતી. બીજી પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, "...રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ, ક્વેટા (બલુચિસ્તાન) માં 12મા ડિવિઝનનું મુખ્ય મથક, ખૈબર પખ્તુનખ્વાના મોહમંદ એજન્સીમાં ખ્વાઝાઈ કેમ્પ અને અન્ય ઘણા મહત્વપૂર્ણ પાકિસ્તાની લશ્કરી ઠેકાણા અને કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવ્યા હતા."
મોટા નુકસાનના દવાઓ
અફઘાન સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે હુમલાઓના પ્રારંભિક મૂલ્યાંકનમાં લક્ષ્યો પર નોંધપાત્ર વિનાશ થયો હોવાનું જણાય છે. તે આગળ જણાવે છે કે, "આ કાર્યવાહી પાકિસ્તાની સૈન્ય દ્વારા કાબુલ, બગ્રામને નિશાન બનાવતા તાજેતરના હવાઈ હુમલાઓના જવાબમાં કરવામાં આવી હતી..."
અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું, 'એ સ્પષ્ટ કરી દઈએ કે જો પાકિસ્તાન ફરીથી આપણા હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરશે અથવા કોઈ હુમલો કરશે, તો તેને તાત્કાલિક, મજબૂત અને યોગ્ય જવાબ આપવામાં આવશે.'
ભારતે નૂર ખાન એર બેઝને નિશાન બનાવ્યું હતું
નૂર ખાન એર બેઝ પાકિસ્તાની વાયુસેનાના સૌથી મહત્વપૂર્ણ બેઝમાંનું એક હોવાનું કહેવાય છે. તે રાજધાની ઇસ્લામાબાદથી આશરે 25 કિમી દૂર આવેલું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન, એવા અહેવાલો આવ્યા હતા કે ભારતે તેને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાન સરકારે પાછળથી આ વાત સ્વીકારી હતી. બાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભારતીય કાર્યવાહી બાદ નૂર ખાન એર બેઝ પર સમારકામનું કામ ચાલી રહ્યું છે. જોકે, પાકિસ્તાને સત્તાવાર રીતે આ વાત કહી નથી.
તાલિબાનના 400 થી વધુ લડવૈયાઓને માર્યાનો દાવો
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અત્તાઉલ્લાહ તરારે રવિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ચાલી રહેલા લશ્કરી કાર્યવાહીમાં 415 અફઘાન તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા છે અને 580 થી વધુ ઘાયલ થયા છે. હુમલાઓના જવાબમાં પાકિસ્તાને ગુરુવારે રાત્રે ઓપરેશન ગઝબ લિલ હક શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં, તરારે કહ્યું કે ઓછામાં ઓછી 182 અફઘાન ચોકીઓનો નાશ કરવામાં આવ્યો છે અને 31 અન્યને સુરક્ષા દળોએ કબજે કરી છે.
તેમણે એમ પણ કહ્યું કે કાર્યવાહી દરમિયાન 185 ટેન્ક, સશસ્ત્ર વાહનો અને તોપખાનાનો પણ નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે અફઘાનિસ્તાનમાં 46 સ્થળોને હવાઈ હુમલા દ્વારા અસરકારક રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ પહેલા પાકિસ્તાનના સંસદીય બાબતોના સંઘીય મંત્રી ડૉ. તારિક ફઝલ ચૌધરીએ કહ્યું હતું કે અફઘાન તાલિબાન વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે.




















