Mahisagar News : મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની માલવણ ગ્રામ પંચાયતમાંથી વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતા તલાટી કમ મંત્રી ઉષાબેન તાવિયાડને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ આ અંગે સત્તાવાર હુકમ બહાર પાડતાં સમગ્ર જિલ્લામાં તલાટી વર્ગમાં ખળભળાટ મચ્યો છે.
નાણાકીય ગેરરીતીઓનો મામલો
માહિતી મુજબ, માલવણ ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં નાણાકીય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ સામે આવતા તલાટી કમ મંત્રી દ્વારા જવાબદારીમાં કચાશ જોવા મળી હતી. આ બાબત ગંભીર માનતા અધિકારીઓએ તરત જ કાર્યવાહી કરતાં તેમને હાલના હોદ્દા પરથી દૂર કરી લીવ રીઝર્વમાં લુણાવાડા ખાતે મુકવામાં આવ્યા છે. આ અચાનક થયેલી કાર્યવાહીથી અન્ય તલાટીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા ભવિષ્યમાં વધુ તપાસની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સરપંચને અઠવાડિયામાં ખુલાસો આપવા હુકમ
બીજી તરફ માત્ર તલાટી જ નહીં પરંતુ માલવણ ગ્રામ પંચાયતના સરપંચ સામે પણ તંત્ર સક્રિય બન્યું છે. સરપંચને તમામ આધાર પુરાવા સાથે નોટિસ આપી એક અઠવાડિયામાં વિગતવાર ખુલાસો આપવા જણાવ્યું છે. સરપંચના પ્રતિભાવ અને રજૂઆતના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે. માલવણ ગામમાં વિકાસ કાર્યોમાં થયેલી સંભવિત ગેરરીતિઓને કારણે ગ્રામજનોમાં પણ ચર્ચાઓનો માહોલ સર્જાયો છે અને લોકો તંત્ર દ્વારા કડક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.






