Indian Cricket Team : ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારત ગ્રુપ સ્ટેજની તમામ મેચો જીતીને અજેય રહ્યું છે, પરંતુ સુપર-8 ના મહત્ત્વના તબક્કા પહેલા ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. આ સમાચારથી ભારતીય ક્રિકેટ ચાહકો અને ટીમ મેનેજમેન્ટમાં ચિંતા ફેલાઈ છે.
ઘટના કેવી રીતે બની?
ભારતીય ટીમ સુપર-8 ની તૈયારીઓ માટે નેટ્સમાં પરસેવો પાડી રહી હતી. આ પ્રેક્ટિસ સેશન દરમિયાન મોહમ્મદ સિરાજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બોલિંગ કરી રહ્યો હતો. હાર્દિકે એક જબરદસ્ત શોટ માર્યો જે સીધો સિરાજના ઘૂંટણ પર વાગ્યો હતો. ઈજા એટલી તીવ્ર હતી કે, સિરાજ તરત જ મેદાન પર બેસી ગયો હતો અને ત્યારબાદ તેને લંગડાતા પગે મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો.
સાઉથ આફ્રિકા સામેની મેચ પર જોખમ
ભારતનો સુપર-8 માં પ્રથમ મુકાબલો 22 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે થવાનો છે. આ એક હાઇ-વોલ્ટેજ મેચ છે અને સિરાજની ઈજા ટીમ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જો સિરાજ આ મેચ સુધી ફિટ નહીં થાય, તો ભારતીય પેસ એટેકની યોજનાઓ ખોરવાઈ શકે છે.
બેકઅપ બોલરની અછત
નોંધનીય છે કે, મોહમ્મદ સિરાજ પોતે ઈજાગ્રસ્ત હર્ષિત રાણાના સ્થાને ટીમમાં સામેલ થયો હતો. 15 સભ્યોની આ ટીમમાં સિરાજ એકમાત્ર મુખ્ય બેકઅપ ફાસ્ટ બોલર છે. તેને USA સામેની મેચમાં 3 વિકેટ લઈને પોતાની લય બતાવી હતી. હવે જો તે બહાર થાય છે, તો ભારત પાસે ફાસ્ટ બોલિંગના ઓપ્શન મર્યાદિત થઈ જશે.
પેસ એટેક પર વધારાનું દબાણ
હાલમાં ભારતીય ફાસ્ટ બોલિંગની કમાન જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહના હાથમાં છે. પરંતુ લાંબી ટૂર્નામેન્ટ અને સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે જેવી ટીમો સામેના મુકાબલા માટે સિરાજનું હોવું અનિવાર્ય હતું. મેડિકલ ટીમ હાલ સિરાજની ઈજાનું નિરીક્ષણ કરી રહી છે અને આગામી 24 કલાક ટીમ ઈન્ડિયા માટે નિર્ણાયક રહેશે.




















