T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચેન્નાઈના ઐતિહાસિક એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાશે. ભારતીય ટીમ માટે આ મેચ સેમીફાઇનલની રેસમાં ટકી રહેવા માટે મોટા અંતરથી જીતવી ખૂબ જ જરૂરી છે. જોકે, આ મેચમાં રમત સિવાય કુદરતી પરિબળ 'ઝાકળ' (Dew) મોટી અડચણ બની શકે તેમ છે. આ સમસ્યાનો સામનો કરવા માટે મેનેજમેન્ટે અમેરિકાથી એક ખાસ કેમિકલ મંગાવ્યું છે.
શા માટે મંગાવ્યું કેમિકલ?
ચેન્નાઈમાં અત્યારે ભારે ભેજવાળું વાતાવરણ છે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થવાની હોવાથી બીજી ઇનિંગ દરમિયાન મેદાન પર પુષ્કળ ઝાકળ પડવાની શક્યતા છે. જ્યારે આઉટફિલ્ડ ભીનું થાય છે, ત્યારે બોલરો માટે બોલ પર ગ્રીપ રાખવી મુશ્કેલ બને છે અને બેટ્સમેનો માટે રન બનાવવા સરળ થઈ જાય છે. આ સ્થિતિ મેચના પરિણામને એકતરફી બનાવી શકે છે, તેથી રમતને સંતુલિત રાખવા માટે આ નિર્ણય લેવાયો છે.
શું છે આ 'ડ્યૂ ક્યોર' કેમિકલ?
રિપોર્ટ અનુસાર, ચેપોક સ્ટેડિયમમાં ઝાકળની અસર ઘટાડવા માટે 'ડ્યૂ ક્યોર' (Dew Cure) નામના ખાસ કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કેમિકલ ખાસ કરીને અમેરિકાથી આયાત કરવામાં આવ્યું છે. મેદાનના ઘાસ પર આ કેમિકલનો છંટકાવ કરવાથી તે પાણીના ટીપાંને ઘાસ પર જામતા અટકાવે છે, જેનાથી આઉટફિલ્ડ સૂકી રહે છે. મંગળવાર અને બુધવારે પણ આનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને મેચના દિવસે પણ બપોરે તેનો છંટકાવ કરવામાં આવશે.
ભેજનું પ્રમાણ અને પડકાર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેચ દરમિયાન ચેન્નાઈમાં ભેજનું સ્તર 80 થી 90 ટકા જેટલું ઊંચું રહી શકે છે. આટલા ઉંચા ભેજમાં કેમિકલ વિના ફિલ્ડિંગ અને બોલિંગ કરવી અત્યંત કઠિન બની જાય છે. જો આ કેમિકલ અસરકારક સાબિત થશે, તો જ ટોસ જીતનારી ટીમ માટે મેચમાં સમાન તક રહેશે, અન્યથા બીજી બેટિંગ કરનાર ટીમને મોટો ફાયદો મળી શકે છે.
બદલાયેલી ચેપોકની પિચ
ચેપોકનું મેદાન વર્ષોથી સ્પિનરો માટે સ્વર્ગ ગણાતું હતું, પરંતુ આ ટૂર્નામેન્ટ માટે તૈયાર કરાયેલી નવી પિચ હવે બેટ્સમેનોને વધુ સાથ આપી રહી છે. હાલની મેચોમાં અહીં 170 થી વધુના સ્કોર પણ સરળતાથી ચેઝ થયા છે. જો આ મેચમાં ઝાકળની અસર ઓછી રહેશે, તો જ ભારતીય બોલરો ઝિમ્બાબ્વેના બેટ્સમેનો પર અંકુશ મેળવી શકશે.



















