T20 World Cup : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જ્યારે પણ T20 ક્રિકેટમાં ટક્કર થાય છે, ત્યારે મેદાન પર રનનો વરસાદ જોવા મળે છે. આજે 5 માર્ચના રોજ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચ રમાવાની છે. આ હાઇ-વોલ્ટેજ મેચ પહેલા આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે, જો ભારત પ્રથમ બેટિંગ કરે અને ચોક્કસ આંકડા સુધી પહોંચી જાય, તો ઈંગ્લેન્ડનું વર્લ્ડ કપમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત છે.
વાનખેડે સ્ટેડિયમમાં ભારતનો દબદબો
મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ભારતીય ટીમ માટે હંમેશા લકી રહ્યું છે. ભારતનો અહીં T20I રેકોર્ડ ખૂબ જ શાનદાર છે. અત્યાર સુધી ટીમે આ મેદાન પર કુલ 7 મેચ રમી છે, જેમાંથી 5 મેચમાં ભારતે ભવ્ય જીત મેળવી છે, જ્યારે માત્ર 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ આંકડા દર્શાવે છે કે, સેમીફાઇનલમાં ભારતનું પલ્લું પહેલેથી જ ભારે છે.
બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન પિચ
વાનખેડેની પિચ હંમેશા બેટ્સમેનોને મદદરૂપ સાબિત થાય છે. અહીંની બાઉન્ડ્રી નાની હોવાથી અને આઉટફિલ્ડ ખૂબ જ ફાસ્ટ હોવાથી ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે છે. આ મેદાન પર હાઇ-સ્કોરિંગ મેચ થવાની પૂરેપૂરી શક્યતા છે. ક્રિકેટ ફેન્સને ફરી એકવાર સેમીફાઇનલમાં રનનો પહાડ જોવા મળી શકે છે.
મેદાન પર રનનો ઈતિહાસ
આ મેદાન પર રનના રેકોર્ડની વાત કરીએ તો, T20 માં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર 254 રનનો છે, જે આ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વે સામે બનાવ્યો હતો. જ્યારે ભારતીય ટીમે વર્ષ 2025 માં ઈંગ્લેન્ડ સામે આ જ મેદાન પર 247 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ આંકડા સાબિત કરે છે કે, અહીં મોટા સ્કોર બનાવવા મુશ્કેલ નથી.
જીતવા માટે કેટલા રન જરૂરી?
વાનખેડેમાં રન ચેઝ કરવાનો ઇતિહાસ પણ રસપ્રદ છે. 2016 ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકા સામે 230 રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો હતો. તેથી, જો ભારત પ્રથમ બેટિંગ કરે છે, તો તેમણે ઓછામાં ઓછા 230 રનથી વધુનો સ્કોર બનાવવો પડશે. જો ભારત 230+ રનનો ટાર્ગેટ આપે છે, તો ઈંગ્લેન્ડ માટે તેને ચેઝ કરવું ઘણું મુશ્કેલ થઈ જશે અને ભારતની જીત પાક્કી માની શકાય.



















