T20 World Cup : આજે 5 ફેબ્રુઆરી, 2026 ના રોજ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઇનલ રમાવા જઈ રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ ટીમો આમને-સામને છે. આ મેચ માત્ર એક મેચ નથી, પરંતુ ભારતીય ટીમ માટે ઇતિહાસ રચવાની તક છે. સતત બીજી વાર T20 વર્લ્ડ કપ જીતવાથી ટીમ ઇન્ડિયા માત્ર બે ડગલાં દૂર છે. જાણો આ હાઈ-વોલ્ટેજ મેચ સાથે જોડાયેલી તમામ મહત્વની બાબતો.
વાનખેડેમાં ભારતનો દબદબો
મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ટીમ ઇન્ડિયા માટે હંમેશા લકી રહ્યું છે. અહીં અત્યાર સુધી રમાયેલી સાત T20 મેચોમાંથી ભારતે 5 મેચમાં જીત મેળવી છે. ખાસ વાત એ છે કે, આ જ મેદાન પર ભારતે ઈંગ્લેન્ડ સામે 247 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો.
ગૌતમ ગંભીરની પિચ ક્યુરેટર સાથે ચર્ચા
મેચ પહેલા સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પિચ ક્યુરેટર સાથે ગંભીર ચર્ચા કરતા જોવા મળે છે. એવું મનાય છે કે, ભારત અને USA વચ્ચે રમાયેલી લો-સ્કોરિંગ મેચવાળી પિચનો જ અહીં ઉપયોગ થઈ શકે છે, જેના કારણે ગંભીર થોડા ચિંતિત જણાય છે.
બુમરાહની 500 વિકેટની સિદ્ધિ
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે આજની મેચ ખૂબ ખાસ છે. બુમરાહ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરવાથી માત્ર થોડા ડગલાં દૂર છે. અત્યાર સુધીમાં માત્ર 7 ભારતીય બોલરો જ આ આંકડો પાર કરી શક્યા છે. બુમરાહનું ફોર્મ ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
ઈંગ્લેન્ડના ખતરનાક ખેલાડીઓ
ઈંગ્લેન્ડની ટીમમાં પાંચ એવા ખેલાડીઓ છે જે ભારતની જીતની આશા પર પાણી ફેરવી શકે છે. હેરી બ્રુક, સેમ કરન, ફિલ સોલ્ટ, આદિલ રશીદ અને વિલ જેક્સ શાનદાર ફોર્મમાં છે. ખાસ કરીને ફિલ સોલ્ટનો વાનખેડેમાં સ્ટ્રાઇક રેટ 220 થી વધુ છે, જેનાથી ભારતીય બોલરોએ સાવધાન રહેવું પડશે.
અભિષેક શર્મા અને સૂર્યકુમાર પર નજર
યુવા બેટ્સમેન અભિષેક શર્માએ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેને માત્ર 54 બોલમાં 135 રન ફટકાર્યા હતા. તે જ સમયે, કેપ્ટન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે આ મેદાન પર રમાયેલી બંને મેચો જીતી છે, જે ટીમનો આત્મવિશ્વાસ વધારે છે.
સેમીફાઈનલની 'હેટ્રિક' : જૂનો હિસાબ અને નવી લડાઈ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ટક્કર થવી હવે એક પરંપરા જેવું બની ગયું છે. વર્ષ 2022 ના T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને અંતે ટાઈટલ જીત્યું હતું. જોકે, 2024 ના T20 વર્લ્ડ કપમાં ભારતે વ્યાજ સાથે હિસાબ ચૂકતે કર્યો અને સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડને પછાડીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી, જ્યાં ભારત ચેમ્પિયન બન્યું હતું. હવે 2026 માં ફરી એકવાર આ બંને દિગ્ગજ ટીમો સેમીફાઇનલમાં આમને-સામને છે. આ મેચ નક્કી કરશે કે કોણ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખે છે અને કોણ ફાઇનલની ટિકિટ મેળવે છે.



















