T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કા પર છે. સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને 7 રનથી હરાવીને ભારતે ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ જીત જેટલી રોમાંચક હતી, તેનાથી વધુ ચર્ચામાં છે ઓલરાઉન્ડર શિવમ દુબેનો એક અનોખો સંયોગ. ક્રિકેટના આંકડાશાસ્ત્રીઓ અને ફેન્સ માની રહ્યા છે કે, શિવમ દુબે જે રીતે આ ટુર્નામેન્ટમાં આઉટ થયો છે, તે ભારત માટે 2007 જેવું પરિણામ લાવી શકે છે.
સેમીફાઇનલનો રોમાંચ
5 માર્ચના રોજ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 253 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે પણ લડત આપી હતી, પરંતુ તેઓ 246 રન સુધી જ પહોંચી શક્યા. આ હાઇ-સ્કોરિંગ મેચમાં શિવમ દુબેને ચોથા નંબરે મોકલવાનો નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો, જ્યાં તેને 25 બોલમાં 43 રન ફટકાર્યા હતા.
ધોની અને દુબેનો અનોખો સંયોગ
આ આખી ટુર્નામેન્ટમાં શિવમ દુબે અત્યાર સુધી ત્રણ વાર 'રન આઉટ' થઈને પેવેલિયન પરત ફર્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વર્ષ 2007 માં જ્યારે ભારતે પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે ભારતીય ટીમના કેપ્ટન એમ. એસ ધોની પણ આખી ટુર્નામેન્ટમાં ત્રણ વખત રન આઉટ થયા હતા. શિવમ દુબેએ હવે ધોનીના આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ચાહકો આને એક 'શુભ સંકેત' માની રહ્યા છે કે, જ્યારે પણ કોઈ મુખ્ય ખેલાડી ત્રણ વાર રન આઉટ થાય છે, ત્યારે ભારત ટ્રોફી જીતે છે.
ફાઇનલમાં નવો પડકાર
હવે ફાઇનલમાં ભારતનો સામનો ન્યુઝીલેન્ડ સામે થવાનો છે. આંકડાકીય રીતે જોઈએ તો ન્યુઝીલેન્ડ હંમેશા ICC ટુર્નામેન્ટમાં ભારત માટે કઠિન પડકાર રહ્યું છે. પરંતુ શિવમ દુબે માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નસીબદાર રહ્યું છે. અહીં રમાયેલી 3 મેચમાં શિવમ દુબેએ 59 ની એવરેજથી 118 રન બનાવ્યા છે. જો શિવમ દુબેનું બેટ ફરી એકવાર ચાલશે, તો ભારત માટે જીત આસાન બની શકે છે. ક્રિકેટમાં સંયોગોનું ઘણું મહત્વ હોય છે. ભલે તે રન આઉટનો રેકોર્ડ હોય કે બેટિંગ ક્રમમાં ફેરફાર, હાલમાં બધું જ ટીમ ઇન્ડિયાના પક્ષમાં જતું દેખાય છે. હવે જોવાનું એ રહેશે કે, શું શિવમ દુબે અને ભારતીય ટીમ આ અદ્ભુત સંયોગને વર્લ્ડ કપની ટ્રોફીમાં બદલી શકે છે કે નહીં.



















