અમદાવાદમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને હીટ એક્શન પ્લાન અમલમાં મુકાયો છે, જેથી ગરમીના કારણે લોકોના આરોગ્ય પર થતી અસર ઘટાડવામાં મદદ મળે. મ્યુનિસિપલ તંત્રએ જાહેર કર્યું છે કે શહેરની મ્યુનિસિપલ હોસ્પિટલોમાં ગરમી સંબંધિત દર્દીઓ માટે 10 બેડ રિઝર્વ રાખવામાં આવશે. ઉપરાંત શહેરના 350 જેટલા સ્થળોએ પાણીની પરબ અને લગભગ 1,000 સ્થળોએ ORS આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષે ઉનાળામાં આશરે 20 લાખ જેટલા ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગરમીને ધ્યાનમાં રાખીને કેટલાક ખાસ વહીવટી નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પાણી પીવા માટે દોઢ કલાકે બેલ વગાડવામાં આવશે. મ્યુનિસિપલ ઇજનેર વિભાગના બાંધકામ કામો બપોરે 1 થી 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કામ કરતા કારીગરો માટે પણ બપોરે 1 થી 4 દરમિયાન કામ બંધ રાખવાનું રહેશે. શહેરના તમામ બગીચાઓ સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.
તંત્રએ લોકોને ગરમીથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ સલાહ પણ આપી છે. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું, હળવા રંગના ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ બહાર નીકળતી વખતે છત્રી, ટોપી કે હેલ્મેટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. લીંબુ પાણી, છાશ, નારિયેળનું પાણી અને ORS જેવા પીણાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ બને છે. બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ અને વધુ ગરમીમાં ભારે શારીરિક શ્રમ ન કરવો જોઈએ.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દિવસમાં ભારે ગરમી પછી જો રાત્રે તાપમાન ઓછું ન થાય તો તે વધુ જોખમી પરિસ્થિતિ ગણાય છે. અગાઉના વર્ષોમાં પણ આવું જોવા મળ્યું છે. 2010માં 43 ડિગ્રીથી વધુ તાપમાનના 19 દિવસ નોંધાયા હતા, જેમાંથી 5 દિવસ રાત્રે લઘુતમ તાપમાન 30 ડિગ્રીથી નીચે ઊતર્યું નહોતું. 2016માં 12 દિવસ તાપમાન 43 ડિગ્રીથી વધુ રહ્યું હતું, જ્યારે 2024માં 43 ડિગ્રીથી વધારે તાપમાન ધરાવતા 13 દિવસ નોંધાયા હતા અને તેમાં 9 દિવસ રાત્રે પણ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહ્યું હતું.
વિશેષજ્ઞો અનુસાર આ વર્ષે ગરમી વધવાના કેટલાક મુખ્ય કારણો છે. વાતાવરણમાં ઊંચા દબાણની સિસ્ટમ સર્જાતા “હીટ ડોમ” અસર સર્જાઈ છે, જેના કારણે ગરમ હવા જમીનની નજીક કેદ થઈ જાય છે. સામાન્ય રીતે માર્ચમાં જોવા મળતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વાદળો ઓછા છે અને સૂર્યકિરણો સીધા જમીન પર પડે છે. ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા સૂકા અને ગરમ પવન પણ ગરમીની તીવ્રતા વધારવામાં ભાગ ભજવે છે. ઉપરાંત શહેરોમાં કોંક્રિટના મકાનો અને ડામરના રસ્તાઓ દિવસ દરમિયાન ગરમી શોષી લેતા હોવાથી રાત્રે પણ તાપમાન ઊંચું રહે છે.
હીટ સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન સામાન્ય 37 ડિગ્રીથી વધી જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિને તરત જ ઠંડી અથવા છાયાવાળી જગ્યાએ લઈ જવી જોઈએ, શરીર પર ઠંડા પાણીનો ટુવાલ રાખવો અથવા બરફ લગાવવો જોઈએ અને લીંબુ કે નારંગીનો રસ આપવો જોઈએ. જો દર્દીને બેભાન થવું, ગભરાટ કે માનસિક અસ્વસ્થતા જેવી ગંભીર લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલમાં લઈ જવું જરૂરી છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ ગરમીથી બચવા માટે ખાલી પેટ બહાર ન નીકળવું, હળવો ખોરાક લેવો અને આહારમાં દહીં, છાશ અને નારિયેળ પાણીનો સમાવેશ કરવો જોઈએ. આ સરળ સાવચેતીઓ અપનાવવાથી હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચી શકાય છે.




















