Surat News: સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, યુવતીના પિતા છેલ્લા બે દિવસથી ગુમ હતા. તે પહેલાં માતા પણ પરિવારથી દૂર રહેતી હોવાના કારણે યુવતી માનસિક આઘાતમાં હતી. માતા બાદ પિતા પણ સાથ છોડીને જતા રહેતા યુવતી મનથી તૂટેલી હાલતમાં હતી, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટનાના દિવસે યુવતી પોતાના ભાઈ સાથે હતી. ભાઈની નજર સામે જ તેણીએ રેલવે બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી. યુવતીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે "હું તાપી નદીમાં ઠેકડો મારું છું". ઘટનાની જાણ થતાં આસપાસના માછીમારોએ તરત જ નદીમાંથી યુવતીને બહાર કાઢી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું.
આ ઘટનાની સૌથી દુખદ બાબત એ રહી કે યુવતીના અંતિમ સંસ્કારમાં માતા અને પિતા બંને હાજર રહ્યા ન હતા. પિતા હજુ પણ ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પોલીસે ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે અને સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના ફરી એકવાર યુવાનોના માનસિક સ્વાસ્થ્ય અને પરિવારના સહારે મહત્વ પર પ્રશ્ન ઊભા કરે છે.






