Home Gujarat Surat Surat Udhna Station Crowd Lathicharge Summer Migrant Rush

ઉધના સ્ટેશન પર ઉમટ્યો મુસાફરોનો મહેરામણ! : 7000થી વધુ મુસાફરો અને ટ્રેન માત્ર 2, પોલીસે કર્યો લાઠીચાર્જ

સુરત ઉધના સ્ટેશન પર મુસાફરો
Published by: Chintan Chavda
Last Updated: Apr 19, 2026, 07:04 AM IST

સુરત: દક્ષિણ ગુજરાતનું આર્થિક કેન્દ્ર ગણાતા સુરત શહેરમાં ઉનાળુ વેકેશન અને રત્નકલાકારો તેમજ કારખાનાના શ્રમિકોની રજાઓ પડતાની સાથે જ વતનની વાટ પકડનારાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે, આ વખતે ઉધના રેલવે સ્ટેશન પર જે દ્રશ્યો સર્જાયા છે, તેણે રેલવે તંત્રના વ્યવસ્થાપનની પોલ ખોલી નાખી છે. હજારો કિલોમીટર દૂર વતન જવા નીકળેલા મુસાફરો માટે રેલવે સ્ટેશન જંગનું મેદાન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.

કલાકોની રાહ અને 3 કિલોમીટર લાંબી કતાર

સુરતના ઉધના રેલવે સ્ટેશનની બહાર રવિવારની વહેલી સવારથી જ મુસાફરોનો મહેરામણ ઉમટ્યો હતો. મળતી માહિતી મુજબ, સ્ટેશનની બહાર મુસાફરોની કતાર અંદાજે 3 કિલોમીટરથી વધુ લાંબી થઈ ગઈ હતી. સ્ટેશન પરિસરમાં 7000થી વધુ મુસાફરો એકત્રિત થયા હતા, જેની સામે માત્ર બે જ ટ્રેનોની વ્યવસ્થા હોવાથી સ્થિતિ વણસી હતી. ભીષણ ગરમી અને હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહેલા મુસાફરોમાંથી બે મુસાફરો તો ગરમીને કારણે બેભાન થઈ ઢળી પડ્યા હતા, જેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ હતી.

પાણી માટે વલખાં અને અસ્થિઓ સાથે સંઘર્ષ

મુસાફરોની પીડા માત્ર ટ્રેનની અછત પૂરતી મર્યાદિત નહોતી. સ્ટેશન પર પીવાના પાણીની વ્યવસ્થા પણ તોતીંગ ભીડ સામે વામણી સાબિત થઈ હતી. જ્યારે વહીવટી તંત્ર દ્વારા પાણીની બોટલોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું, ત્યારે લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તરસ છિપાવવા માટે મુસાફરો એકબીજા પર તૂટી પડ્યા હતા, જેના કારણે અંધાધૂંધી સર્જાઈ હતી.

આ બધાની વચ્ચે હૃદયદ્રાવક દ્રશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે એક યુવાન પોતાની પત્નીની અસ્થિઓ ભરેલું કળશ હાથમાં લઈને ટ્રેનમાં ચઢવા મથી રહ્યો હતો. પત્નીના અંતિમ સંસ્કાર બાદ અસ્થિ વિસર્જન માટે વતન જવા નીકળેલો આ લાચાર યુવક ભીડમાં ફસાયો હતો. તેની આંખોમાં આંસુ અને હાથમાં પત્નીની અંતિમ નિશાની જોઈને પથ્થર દિલના માનવીનું હૃદય પણ દ્રવી ઉઠે તેવી સ્થિતિ હતી.

જ્યારે પોલીસને લાઠી વીંઝવી પડી

બપોરના સમયે જ્યારે ભીડ બેકાબૂ બની અને લોકો ટ્રેનમાં ચઢવા માટે જીવના જોખમે બાઉન્ડ્રી વોલ કૂદવા લાગ્યા, ત્યારે રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી. ભીડને વિખેરવા અને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે હેતુથી પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસના ડરથી મુસાફરોમાં નાસભાગ મચી હતી, જેમાં મહિલાઓ અને બાળકો સૌથી વધુ પરેશાન થયા હતા. તંત્રનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર આ પગલું ભરવું અનિવાર્ય હતું.

આ પણ વાંચો: ગોલ્ડ ટ્રેડિંગના નામે 25 લાખની છેતરપિંડી કરનાર હાલોલથી ઝડપાયો : UP-દિલ્હી સુધી છેડા, 8 કરોડનું આંતરરાજ્ય કૌભાંડ ખુલ્યું!

તંત્રના દાવા અને મુસાફરોનો આક્રોશ

રેલવે DySP દીપક ગૌડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ ક્ષમતા કરતા મુસાફરોની સંખ્યા પાંચ ગણી વધારે છે. વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે." બીજી તરફ, મુસાફરોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર જાણે છે કે દર વર્ષે મે મહિનામાં આટલી ભીડ થાય જ છે, તો અગાઉથી વધારાની ટ્રેનો કેમ નથી મુકાતી? શા માટે ગરીબ મજૂરોને પશુઓની જેમ મુસાફરી કરવા મજબૂર કરવામાં આવે છે?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now