સુરત: શહેરના સચિન વિસ્તારમાં જાહેરમાં ગુંડાગર્દી કરીને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જનાર ચાર શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. હાથમાં લોખંડના સળિયા અને પટ્ટા લઈને સોસાયટી વિસ્તારમાં આતંક મચાવતી ટોળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સચિન પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસના આધારે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, બે દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ અને વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં કેટલાક યુવાનો ખુલ્લેઆમ હથિયાર જેવા સાધનો સાથે સોસાયટી વિસ્તારમાં ફરી રહ્યા હતા અને સ્થાનિક લોકોને ડરાવી-ધમકાવી રહ્યા હોવાનું જોવા મળતું હતું. આ ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ સર્જ્યો હતો.
CCTVમાં કેદ થઈ ગુંડાગર્દી
વાયરલ થયેલા ફૂટેજમાં આરોપીઓ જાહેરમાં ગેરકાયદેસર રીતે ધાક જમાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. હાથમાં સળિયા અને પટ્ટા સાથે તેઓ સોસાયટીમાં ફરી રહ્યા હતા, જેના કારણે સ્થાનિક પરિવારોમાં દહેશત ફેલાઈ હતી. ઘટનાના CCTV દૃશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં સમગ્ર મામલો પોલીસના ધ્યાન પર આવ્યો હતો. પોલીસે વીડિયો અને ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ વિસ્તારના લોકોને ડરાવી પોતાની ધાક જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જાહેરમાં આવી રીતે ગુંડાગર્દી કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.
4 આરોપીઓ ઝડપાયા
સચિન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રવિ સિંગ, શુભમ સરોજ, વિશાલ મોર્યા અને મોનુ ગૌતમનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને તેઓએ આ પ્રકારનું વર્તન શા માટે કર્યું, તેની પાછળ કોઈ જૂની અદાવત કે અન્ય કારણ હતું કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપીઓ સામે કયા ગુનાઓ નોંધવામાં આવશે તે અંગે પણ કાયદેસરની પ્રક્રિયા ચાલી રહી છે.
જાહેરમાં ગુંડાગર્દી સામે પોલીસનો કડક સંદેશ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ જાહેરમાં કાયદો હાથમાં લઈને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનાર તત્વોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.
સચિન પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ માંગ કરી છે કે આવા અસામાજિક તત્વો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવે જેથી સામાન્ય લોકો નિર્ભયતાથી જીવન જીવી શકે.





