Surat News: સુરતના નાસીર નગર વિસ્તારમાં તાજેતરમાં થયેલા કથિત નકલી ડિમોલિશનનો મામલો હવે રાજ્ય સ્તરે ગરમાયો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને બિલ્ડરો તથા અધિકારીઓની સાંઠગાંઠ હોવાના આક્ષેપો સાથે ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને એક પત્ર લખીને આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ સમગ્ર પ્રકરણની ગાંધીનગરથી ઉચ્ચ સ્તરીય અને તટસ્થ તપાસ કરાવવાની ઉગ્ર માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થયાનો આક્ષેપ
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં તુષાર ચૌધરીએ ગંભીર સવાલો ઉઠાવતા પૂછ્યું છે કે, નાસીર નગરમાં જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી, તે ખરેખર કોના દ્વારા અને કયા આદેશથી કરવામાં આવી? સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાં, શું અહીંના રહીશોને કાયદેસરની કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ? ડિમોલિશન પહેલાં ગરીબ અને મધ્યમવર્ગીય રહીશો માટે કોઈ વૈકલ્પિક આવાસ કે અન્ય વ્યવસ્થાની વિચારણા કરવામાં આવી હતી ખરી?
સુરત ડિમોલિશન વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી : ઘૂસપેઠ અને અતિક્રમણ મુદ્દે ઉઠાવ્યા ગંભીર સવાલો
બિલ્ડર અને અધિકારીઓની સાંઠગાંઠની શંકા
સૌથી મોટો આરોપ બિલ્ડર લોબી પર લગાવવામાં આવ્યો છે. તુષાર ચૌધરીએ જણાવ્યું છે કે, જે બિલ્ડરે આ આખું બાંધકામ કર્યું છે, તેણે વહીવટી તંત્ર પાસેથી યોગ્ય પરવાનગી મેળવી હતી કે કેમ તે મોટો સવાલ છે. આ નકલી ડિમોલિશન પાછળ બિલ્ડર અને સ્થાનિક તંત્રની મિલીભગત હોવાની પૂરેપૂરી આશંકા છે.
"અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે"
આશ્ચર્યની વાત તો એ છે કે આ વિવાદાસ્પદ ડિમોલિશનના બીજા જ દિવસે સંબંધિત કાર્યપાલક ઈજનેર અચાનક રજા પર ઉતરી ગયા છે. એટલું જ નહીં, મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટર પણ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આ બાબત જ દર્શાવે છે કે દાળમાં કંઈક કાળું છે અને અધિકારીઓ પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યા છે.
ગાંધીનગરથી તટસ્થ તપાસની માંગ
સ્થાનિક કક્ષાએ આ મામલાને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરતા વિપક્ષી નેતાએ ભારપૂર્વક જણાવ્યું છે કે, આ કોઈ સામાન્ય ડિમોલિશન નથી પરંતુ કાયદાના લીરેલીરા ઉડાવતું 'કથિત નકલી ડિમોલિશન' છે. તેથી સુરત પ્રશાસન પર ભરોસો રાખવાને બદલે ગાંધીનગરથી એક સ્વતંત્ર અને ઉચ્ચ સ્તરીય ટીમ મોકલીને આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે, જેથી પીડિત રહીશોને ન્યાય મળી શકે અને દોષિતો સામે કડક પગલાં ભરી શકાય.





