what is El Nino: પ્રશાંત મહાસાગરના ઊંડાણમાં એક એવી હલચલ શરૂ થઈ છે, જે ભારત માટે જોખમની ઘંટડી સમાન છે. વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગરમાં એક વિશાળ 'કેલ્વિન વેવ' (Kelvin Wave) જોઈ છે, જે હવે દક્ષિણ અમેરિકાના કિનારા સુધી પહોંચી ગઈ છે.
શું છે આ 'સુપર એલ નીનો'?

આ લહેર એક ઐતિહાસિક 'સુપર એલ નીનો' માટે મેદાન તૈયાર કરી રહી છે. ભારત માટે આનો સીધો અર્થ છે, અસહ્ય ગરમી અને ચેન્નાઈ જેવા શહેરો માટે વિનાશક પૂરનો ડર.
પ્રશાંત મહાસાગરમાં શું થઈ રહ્યું છે?

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, પ્રશાંત મહાસાગરની સપાટી નીચે ગરમ પાણીની એક વિશાળ લહેર વિષુવવૃત્તને પાર કરી રહી છે. આ લહેર ઠંડા પાણીને ઉપર આવતા રોકી રહી છે, જેના કારણે સમુદ્રની સપાટીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. જ્યારે સમુદ્રની સપાટી ગરમ થાય છે, ત્યારે તે સમગ્ર વિશ્વના હવામાન ચક્રને ખોરવી નાખે છે.
ભારત પર તેની શું અસર થશે?

એલ નીનોના કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં જૂન-જુલાઈનું ચોમાસું નબળું પડી શકે છે, જેની સીધી અસર ખેતી પર પડશે. આનાથી વિપરીત, ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન આ પ્રક્રિયા બંગાળની ખાડીમાંથી ભારે ભેજ ખેંચી શકે છે, જેના કારણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી કહેર વરસી શકે છે.
ચેન્નાઈ પર સંકટ

ચેન્નાઈના લોકો આજે પણ 2015ની એ મહાપ્રલય જેવી સ્થિતિને ભૂલ્યા નથી, જ્યારે અડધું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સંજોગોવશાત્, 2015માં પણ એક શક્તિશાળી 'એલ નીનો' સક્રિય હતો. ચેન્નાઈ એક નીચાણવાળો અને સપાટ વિસ્તાર છે. જો અતિભારે વરસાદ થાય, તો નદીઓનું પાણી સમુદ્રમાં જઈ શકતું નથી અને શહેર ડૂબવા લાગે છે.
ખતરો કેટલો મોટો છે?

NOAA અને વૈશ્વિક હવામાન મોડલ્સ સંકેત આપી રહ્યા છે કે 2026નો એલ નીનો 'સુપર' કેટેગરીનો હોઈ શકે છે, જે 2015 કરતાં પણ વધુ ભયાનક વરસાદ અને તબાહી લાવી શકે છે.





