મુંબઈ: મહારાષ્ટ્રના સત્તાધારી પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) માં એક નવા યુગની શરૂઆત થઈ છે. ગુરુવારે મુંબઈમાં યોજાયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સુનેત્રા પવારને સર્વસંમતિથી NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. અજિત પવારના આકસ્મિક નિધન બાદ ખાલી પડેલી જગ્યાઓ અને પક્ષની જવાબદારીઓને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજેતરમાં જ બારામતીમાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશમાં ડેપ્યુટી સીએમ અજિત પવારના અવસાન બાદ રાજ્યના રાજકારણમાં મોટી શૂન્યાવકાશ સર્જાઈ હતી. પક્ષને મજબૂતી આપવા માટે હવે સુનેત્રા પવાર માત્ર પક્ષના અધ્યક્ષ જ નહીં, પરંતુ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. આ ફેરબદલ સાથે પવાર પરિવારની ત્રીજી પેઢીના સભ્ય પાર્થ પવારની પણ સક્રિય રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે.
પાર્થ પવાર રાજ્યસભાની ચૂંટણી લડશે: પ્રફુલ પટેલની જાહેરાત
NCPના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલે બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, સુનેત્રા પવારના રાજીનામાથી ખાલી પડેલી રાજ્યસભાની બેઠક માટે પાર્થ પવારને ઉમેદવાર બનાવવામાં આવશે. સુનેત્રા પવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પોતાની રાજ્યસભાની બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. હવે તેમના મોટા પુત્ર પાર્થ આ બેઠક પરથી ચૂંટણી લડીને સંસદમાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે.
અજિત પવારના નિધન બાદની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે 28 જાન્યુઆરીએ બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં અજિત પવારનું નિધન થયું હતું. તેઓ તે સમયે પાર્ટીના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હતા. તેમના નિધનના ગણતરીના દિવસોમાં જ, 31 જાન્યુઆરીએ સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. સુનેત્રા પવાર અગાઉ જૂન 2024માં બિનહરીફ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ નવી જવાબદારી મળતા તેમણે તે પદ છોડવું પડ્યું હતું.
કોણ છે પાર્થ પવાર? રાજકીય સફર પર એક નજર
પાર્થ પવાર અજિત પવાર અને સુનેત્રા પવારના મોટા પુત્ર છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં માવલ બેઠક પરથી પ્રથમવાર ચૂંટણી લડી હતી, જોકે તેમાં તેમને સફળતા મળી નહોતી. ત્યારબાદ તેઓ પડદા પાછળ રહીને પક્ષના સંગઠનાત્મક કાર્યો અને યુવા પાંખ સાથે જોડાયેલા રહ્યા હતા. જોકે, તાજેતરમાં પુણેમાં જમીન વિવાદને કારણે તેઓ ચર્ચામાં પણ આવ્યા હતા, પરંતુ હવે રાજ્યસભા દ્વારા તેમની સક્રિય સંસદીય રાજનીતિ ફરી શરૂ થવા જઈ રહી છે.
મહારાષ્ટ્રમાં 16 માર્ચે રાજ્યસભાની 7 બેઠકો માટે જંગ
મહારાષ્ટ્રમાં આગામી 16 માર્ચ 2026ના રોજ રાજ્યસભાની 7 બેઠકો માટે મતદાન થવાનું છે. આ ચૂંટણી માટેની મહત્વની વિગતો નીચે મુજબ છે:
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: 5 માર્ચ 2026
નામોની ચકાસણી: 6 માર્ચ
નામ ખેંચવાની છેલ્લી તારીખ: 9 માર્ચ
મતદાન અને પરિણામ: 16 માર્ચ
નોંધનીય છે કે, NCP (SP) ના પ્રમુખ શરદ પવાર સહિત 7 સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે. શરદ પવાર ફરી ચૂંટણી લડશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે.
વિધાનસભાનું સંખ્યાબળ અને સમીકરણો
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે ઉમેદવારને ઓછામાં ઓછા 37 મતોની જરૂર પડે છે. વર્તમાન સ્થિતિ મુજબ મહાયુતિ ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે:
પક્ષ | ધારાસભ્યોની સંખ્યા |
ભાજપ (BJP) | 132 |
શિવસેના (શિંદે જૂથ) | 57 |
NCP (અજિત પવાર જૂથ) | 41 |
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આ ચૂંટણીમાં પોતાના 4 ઉમેદવારો મેદાનમાં ઉતારી શકે છે, જ્યારે NCP અને શિવસેના (શિંદે) બાકીની બેઠકો પર પોતાના ઉમેદવારો નક્કી કરશે.




















