ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેત્રી સુધા ચંદ્રન છેલ્લા ઘણા સમયથી તેમના એક વાયરલ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 'માતાની ચોકી' દરમિયાનના એક કાર્યક્રમમાં સુધા ચંદ્રન પર કોઈ દૈવી શક્તિ સવાર થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેણે ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. ઘણા લોકોએ આ વીડિયોને શ્રદ્ધા સાથે જોડ્યો તો કેટલાકે તેમને ટ્રોલ પણ કર્યા. હવે લાંબા સમય બાદ અભિનેત્રીએ આ ઘટના પર પોતાની મૌન તોડ્યું છે. તેમણે એક પોડકાસ્ટમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તે સમયે તેમણે માત્ર 10 જ મિનિટમાં 4.5 લિટર પાણી પી લીધું હતું, જે એક સામાન્ય મનુષ્ય માટે અશક્ય છે.
'મને સમજાયું નહીં કે તે શું હતું': સુધા ચંદ્રન
પારસ છાબડાના પોડકાસ્ટમાં વાત કરતા સુધા ચંદ્રને જણાવ્યું કે, તે સમયે તેમની સાથે શું થઈ રહ્યું હતું તેનો તેમને અંદાજ પણ નહોતો. તેમણે કહ્યું, "ઘણા લોકો કહે છે કે માતાજી તમારી પાસે આવે છે. મને ખબર નથી કે આ કેવી રીતે અથવા શા માટે થાય છે, પરંતુ તે દિવસે મેં દેવીની હાજરી અનુભવી હતી. હું પોતે આ બાબતે શંકાશીલ હતી, પણ જ્યારે આ ઘટના બની ત્યારે મને લાગ્યું કે કોઈ દૈવી શક્તિ મને આશીર્વાદ આપી રહી છે."
10 મિનિટમાં 4.5 લિટર પાણી પીવું અશક્ય છે
આ ઘટનાની સૌથી આશ્ચર્યજનક વાત શેર કરતા સુધાએ કહ્યું કે, "લોકો મને પૂછે છે કે શું તમે તે સમયે કશું અનુભવ્યું હતું? સત્ય તો એ છે કે મને કંઈ જ ખબર નથી. કોઈ સામાન્ય માણસ 10 મિનિટમાં સાડા ચાર લિટર પાણી કેવી રીતે પી શકે? હું આખા દિવસમાં પણ એટલું પાણી નથી પી શકતી. રાત્રે તો બે લિટરની બોટલ પણ પૂરી કરવી મુશ્કેલ હોય છે, તો આ તે સમયે કેવી રીતે થયું તે મને સમજાતું નથી."
ટ્રોલ કરનારાઓને આપ્યો સણસણતો જવાબ
સોશિયલ મીડિયા પર થતી ટીકાઓ અને ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "મેં ક્યારેય એવો દાવો નથી કર્યો કે માતાજીની આખી શક્તિ મારામાં આવી ગઈ હતી. જો કંઈ થયું હોય તો તે માત્ર તેમની હાજરીનો એક નાનકડો અંશ હતો. તેમણે મારા શરીરને માધ્યમ તરીકે પસંદ કર્યું. જે લોકો ટ્રોલ કરે છે તે અલગ વાત છે, પરંતુ હું કોઈની મંજૂરી મેળવવા માટે અહીં ઉભી નથી. હું કોઈના વિશ્વાસ કે ધર્મ પર સવાલ નથી ઉઠાવી રહી અને મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી."
કરિયર અને સંઘર્ષની યાદો તાજી કરી
આ વાતચીત દરમિયાન સુધાએ પોતાની સુપરહિટ ફિલ્મ 'મયુરી' ને પણ યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે મયુરી તેમની જિંદગીની પહેલી બાયોપિક હતી, જેમાં તેમણે પોતે જ પોતાનું પાત્ર ભજવ્યું હતું. કૃત્રિમ પગ (જયપુર ફૂટ) સાથે નૃત્ય કરીને વિશ્વભરમાં નામના મેળવનાર સુધા ચંદ્રન માટે આ આધ્યાત્મિક અનુભવ તેમના જીવનનો એક અનોખો વળાંક સાબિત થયો છે.




















