ભર શિયાળાના માહોલ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની સ્થિતિ સર્જાઈ છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને ચણા અને જીરું સહિતના રવિ પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. દ્વારકા, કલ્યાણપુર તેમજ આસપાસના ગામોમાં ઝરમર વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે.
હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આગામી ત્રણ કલાક સુધીમાં રાજ્યના કચ્છ અને પોરબંદર જિલ્લામાં હળવો વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. એક વાગ્યા સુધીમાં કચ્છ અને પોરબંદર વિસ્તારમાં હળવા વરસાદની અસર જોવા મળવાની સંભાવના છે.
અમદાવાદમાં ઘુમ્મસભર્યું વાતાવરણ
બીજી તરફ અમદાવાદમાં આજે વહેલી સવારથી ઘુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરમાં હવામાન ધુમ્મસભર્યું રહેતા પ્રદૂષણમાં પણ વધારો નોંધાયો છે. બદલાતા હવામાનના કારણે ઠંડી અને ભેજનું પ્રમાણ વધ્યું છે. માવઠાની આ પરિસ્થિતિને લઈ ખેડૂતો તેમજ નાગરિકો બંને સતર્ક બન્યા છે અને આગામી દિવસોમાં હવામાન કેવી રીતે વળાંક લે છે તેના પર સૌની નજર છે.





















