સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડમાં એસ.ટી. ડ્રાઈવરની ગંભીર બેદરકારીને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદ-ભુજ-નારાયણ સરોવર રૂટની એસ.ટી. બસમાં ચડતી વખતે એક મુસાફરનો પગ બસના આગળના ટાયરમાં આવી ગયો હતો. જેથી મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
લીંબડી બસ સ્ટેન્ડ પર અમદાવાદ-ભુજ-નારાયણ સરોવર રૂટની એસ.ટી. બસમાં ચડતી વખતે એક મુસાફરનો પગ બસના આગળના ટાયરમાં આવી ગયો હતો. આ દુર્ઘટનામાં મુસાફરને ગંભીર ઈજા થઈ છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મુસાફર અશોકભાઈએ જણાવ્યું કે તેઓ લીંબડી બસ સ્ટેન્ડ પર બસમાં ચડવા ગયા ત્યારે ડ્રાઇવરે બસ અચાનક આગળ વધારી અને તેઓએ સંતુલન ગુમાવી દીધું હતું, જેથી તેમનો પગ બસના આગળના ટાયરમાં આવી ગયો હતો.
મુસાફરની હાલત ગંભીર
બસનું ટાયર ફરી વળતા અશોકભાઇના પગનો કુચો બોલાઈ ગયો હતો. આ દુર્ઘટના બાદ અશોકભાઇની આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત અશોકભાઇને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાએ એસ.ટી. તંત્રની કામગીરી અને મુસાફર સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને બસ સ્ટેન્ડમાં પેસેન્જરની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી આવાં અકસ્માતો ફરી ન બને.




















