ST Corporation Service : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી. નિગમ) દ્વારા મુસાફરોની સુવિધા વધારવા માટે એક નવતર અને ઉપયોગી પહેલ કરવામાં આવી છે. એસ.ટી. નિગમ હવે એક્સપ્રેસ બસમાં મુસાફરી કરતાં મુસાફરો માટે ‘FOOD ON BUS’ સેવા શરૂ કરવા જઈ રહ્યો છે. આ સેવા પાયલટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવી રહી છે.
‘FOOD ON BUS’ સેવા શરૂ
આ પ્રોજેક્ટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોના સંચાલિત રૂટ પર મુસાફરોને ચાલુ બસમાં જ પેક્ડ ફૂડ પૂરુ પાડવામાં આવશે. લાંબી મુસાફરી દરમિયાન મુસાફરોને ખાવા-પીવાની મુશ્કેલી ન પડે અને આરામદાયક પ્રવાસનો અનુભવ મળે એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઑનલાઇન સુવિધા
એસ.ટી. નિગમ દ્વારા શરૂ કરવામાં આવતી આ ‘FOOD ON BUS’ સેવામાં મુસાફરો માટે ઑનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુસાફરો નિગમની ઑનલાઇન OPRS સિસ્ટમ પર બસ ટિકિટ બુક કરતી વખતે જ ફૂડ પણ અગાઉથી બુક કરી શકશે. એટલે કે બસમાં મુસાફરી શરૂ થાય તે પહેલાં જ ફૂડ ઓર્ડર કરી શકાય તેવી સગવડ મળશે.
અમદાવાદમાં પાયલટ પ્રોજેક્ટ
પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદથી સંચાલિત થતી એક્સપ્રેસ બસોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટિયા, નહેરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ, જશોદાનગર પોઈન્ટ તેમજ પિકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરોને ફૂડ ડિલિવરી કરવામાં આવશે. એસ.ટી. નિગમની આ નવી પહેલથી મુસાફરોને વધુ સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે. જો પાયલટ પ્રોજેક્ટ સફળ સાબિત થશે તો આગામી સમયમાં રાજ્યભરના અન્ય રૂટ પર પણ આ સેવા વિસ્તૃત કરવાની શક્યતા છે.





















