Malayalam actor-director Srinivasan: મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અપાર યોગદાન આપનાર અનુભવી અભિનેતા, દિગ્દર્શક, પટકથા લેખક અને નિર્માતા શ્રીનિવાસનનું શનિવારે (20 ડિસેમ્બર, 2025) 69 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી અસ્વસ્થ હતા અને ઘરે સારવાર લઈ રહ્યા હતા. આરોગ્યમાં અચાનક બગાડ બાદ તેમને ત્રિપુનિથુરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું.
225થી વધુ ફિલ્મોમાં અભિનય
શ્રીનિવાસનનો જન્મ 6 એપ્રિલ 1956ના રોજ કન્નુર જિલ્લાના પટ્યમમાં થયો હતો. તેમણે 1976માં 'મણિમુઝક્કમ' ફિલ્મથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી અને 225થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તેમની તીખી સામાજિક વ્યંગ્ય અને હાસ્યથી ભરપૂર અભિનયશૈલીએ મલયાલમ સિનેમાને નવી ઊંચાઈ આપી. તેઓ માત્ર અભિનેતા જ નહીં પરંતુ પટકથા લેખક તરીકે પણ પ્રખ્યાત હતા. 'નડોડિક્કટ્ટુ', 'સંદેશમ', 'વડક્કુનોક્કિયંત્રમ', 'ચિંતાવિષ્ટયાય શ્યામલા' જેવી ફિલ્મોના પટકથા લખીને અને દિગ્દર્શન કરીને તેમણે મલયાલમ સિનેમાના સ્વરૂપને બદલી નાખ્યું. મોહનલાલ સાથેની તેમની જોડી અવિસ્મરણીય છે.
બંને પુત્રો મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય
શ્રીનિવાસન તેમના પત્ની વિમલા અને બે પુત્રો વિનીત શ્રીનિવાસન તથા ધ્યાન શ્રીનિવાસનને છોડી ગયા છે. બંને પુત્રો મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને તેમના પિતાના વારસાને આગળ વધારી રહ્યા છે. મલયાલમ સિનેમા જગતમાં શ્રીનિવાસનનું અવસાન એક અપૂરણીય ખોટ છે. તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.




















