Virat-Anushka Visited Ayodhya Ram Mandir: જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ પરિસ્થિતિ તંગ બની હતી. જેને પગલે સુરક્ષાના કારણોસર આઈપીએલને અધવચ્ચેથી થોડા સમય માટે અટકાવી દેવામાં આવી હતી. જોકે, સ્થિતિ સુધરતા ફરી આઈપીએલ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હાલ આઈપીએલ ટુર્નામેન્ટ તેના અંતિમ અને રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. એવામાં ક્રિકેટ કિંગ વિરાટ કોહલી લખનઉ સામેની મેચ પહેલાં અચાનક અયોધ્યા પહોંચી જતો ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ક્રિકેટર વિરાટ કોહલી પહેલીવાર અયોધ્યામાં રામલલ્લાના દર્શને પહોંચ્યો છે. પત્ની અનુષ્કા શર્મા સંગ વિરાટની અયોધ્યાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકો સવાલ પણ કરી રહ્યાં છેકે, લખનઉ સામેની મેચ પહેલાં કેમ અચાનક અયોધ્યા પહોંચી ગયો કોહલી? કેટલાંક ચાહકો એવો પણ સવાલ કરી રહ્યાં છેકે, શું પત્ની અનુષ્કાએ વિરાટ માટે રામલલ્લા પાસે કોઈ ખાસ મન્નત માંગી હતી?
ઉલ્લેખનીય છેકે, રવિવારે સવારે 7 વાગ્યે ક્રિકેટર વિરાટ કોહલી તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે અયોધ્યા રામલલ્લાના દર્શને પહોંચ્યો હતો. આ દંપતીએ લગભગ અડધો કલાક રામ મંદિર પરિસરમાં રહીને દર્શન કર્યા હતા. વિરાટ અને અનુષ્કા પહેલીવાર એક સાથે નવનિર્મિત રામમંદિર અયોધ્યા આવ્યાં હતાં. જેથી બન્નેએ રામ દરબાર અને આખું મંદિર શાંતિથી જોયું હતું. સાથે જ મંદિરના સંતો-મહંતો પાસેથી વિરાટ અને અનુષ્કાએ રામ મંદિરની મૂર્તિઓ અને કોતરણી વિશે માહિતી લીધી. આ પછી વિરાટ અને અનુષ્કા હનુમાનગઢી પહોંચ્યા. 20 મિનિટ દર્શન અને પૂજા કરી. પછી લખનઉ જવા રવાના થયા. અયોધ્યા મુલાકાત દરમિયાન વિરાટ અને અનુષ્કાએ મીડિયાથી અંતર જાળવી રાખ્યું હતું. ઉલ્લેખનીય છેકે આ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દિવસ પછી, 13 મેના રોજ વિરાટ અને અનુષ્કા વૃંદાવન પહોંચ્યા હતા. બંનેએ પ્રેમાનંદ મહારાજને પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ લીધા.
કોહલીએ 23 મેના રોજ લખનઉના એકાના સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે IPL મેચ રમી હતી. તેમાં, તેની ટીમ RCBનો 42 રનથી પરાજય થયો હતો. મેચમાં કોહલીએ 25 બોલમાં 43 રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. આરસીબીનો આગામી મુકાબલો 27 મેના રોજ લખનઉ સામે છે.





















