Surendranagar ED investigation : સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારના ઘરેથી મળી આવેલી રોકડ અને ત્યારબાદ ACB દ્વારા ગુનો નોંધાતા રાજકીય અને વહીવટી ચર્ચા તેજ બની છે. આ મુદ્દે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “આપણી કેટલીક વાતો આપણા ધ્યાને ન પણ હોતી હોય, પરંતુ સરકારની એજન્સીઓ પોતાનું કામ કરી રહી હોય છે”
'તપાસ એજન્સીઓ સ્વતંત્ર છે'
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, 'તપાસ એજન્સીઓ સ્વતંત્ર છે અને જ્યારે એજન્સીઓ સ્વતંત્ર રીતે કામ કરે છે ત્યારે આવી કાર્યવાહી થતી હોય છે'. તેમણે સ્પષ્ટ કહ્યું કે, 'એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દેશમાં સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને સુરેન્દ્રનગર કેસમાં પણ એ જ વાત સ્પષ્ટ રીતે જોવા મળે છે. જનતાના હિતમાં જે રીતે કાર્યવાહી થવી જોઈએ, તે પ્રમાણે સરકાર અને એજન્સીઓ કામ કરી રહી છે એવું પણ તેમણે જણાવ્યું હતું.
ACB દ્વારા ગુનો નોંધાયો
ઉલ્લેખનીય છે કે, 'સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારના ઘરેથી મળી આવેલી રોકડ રકમના મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરે ACB દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મિહિર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનો સુરેન્દ્રનગર ACB પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે. સમગ્ર મામલે EDના વરિષ્ઠ અધિકારીએ ACBમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ACB દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ ACB દ્વારા તમામ આરોપીઓની ભૂમિકા, નાણાકીય લેવડદેવડ અને મળેલી રોકડ અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.





















