માનવ જીવનમાં દરેક વ્યક્તિ કાયમી સુખ અને આનંદની શોધમાં હોય છે પરંતુ વાસ્તવિકતામાં તે ક્ષણભંગુર સાબિત થાય છે. સુપ્રસિદ્ધ કથાકાર સંત રમેશભાઈ ઓઝાના જણાવ્યા અનુસાર પુણ્ય અને પાપ બંને મનુષ્યને બાંધવાનું કામ કરે છે. પાપ જો લોખંડની સાંકળ છે તો પુણ્ય સોનાની સાંકળ સમાન છે. લોખંડના બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા જાગે છે પરંતુ સોનાનું બંધન મનુષ્યને મોહમાં જકડી રાખે છે. જ્યારે આપણે સુખમાં હોઈએ છીએ ત્યારે તે પરિસ્થિતિ કાયમ જળવાઈ રહે તેવી કામના જ દુઃખનું મૂળ બને છે.
પરિવર્તન જ સમયનું સાચું સ્વરૂપ
સમયની ગતિ અવિરત છે અને બદલાવ એ તેનો કુદરતી સ્વભાવ છે. 21 વર્ષ પહેલાં આપણું જે શરીર હતું તે આજે નથી. જેવી રીતે ગંગાના કિનારે બેસીને આપણે વહેતું પાણી જોઈએ છીએ ત્યારે તે ક્ષણે ગંગાનું પાણી બદલાઈ ગયું હોય છે પરંતુ ઘાટ તે જ રહે છે. સમય પોતે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં વહેંચાયેલો નથી પરંતુ બધું જ સમયની અંદર પરિવર્તિત થઈ રહ્યું છે. શ્રીમદ ભગવદ ગીતામાં પરમાત્માને આ સમયનું જ સ્વરૂપ માનવામાં આવ્યું છે જે સર્વવ્યાપી છે.
ચૈતન્યના મહાસાગરની એક લહેર છે જીવન
પ્રભુ અંતર્યામી છે જે આપણા દરેક ભાવ અને વિચારોના સાક્ષી છે. તે શરીરની અંદર રહીને શ્વાસ રૂપે જીવન આપે છે અને બહાર કાળ સ્વરૂપે આયુષ્યને હરે છે. વાસ્તવમાં મૃત્યુ જેવી કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી જ નથી. આપણે ચૈતન્યના મહાસાગરમાં ઉઠતી એક લહેર સમાન છીએ. લહેર દેખાય તેને જીવન કહેવાય અને તે સમુદ્રમાં ભળી જાય તેને આપણે મૃત્યુ કહીએ છીએ. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે આત્મા અજન્મા, નિત્ય અને સનાતન છે જે શરીરના નાશ પામ્યા પછી પણ ક્યારેય મરતી નથી.
શોક, મોહ અને ભયથી મુક્તિનો માર્ગ
મનુષ્યના જીવનમાં ત્રણ મુખ્ય અડચણો છે: શોક, મોહ અને ભય. જ્યારે જીવનમાં આનંદનો અભાવ હોય ત્યારે શોક જન્મે છે, સુખની અછત હોય ત્યારે મોહ થાય છે અને શાંતિ ન હોય ત્યારે ભય લાગે છે. જો તમારે સુખ શાંતિ અને આનંદને સ્થાયી બનાવવા હોય તો આ ત્રણેયનો ત્યાગ કરવો અનિવાર્ય છે. પરમાત્મા આપણા હૃદયમાં જ બિરાજમાન છે પરંતુ મનુષ્યનો અહંકાર તેમને પ્રગટ થવા દેતો નથી. જ્યારે વ્યક્તિ 'બધું મારું જ છે' તેમ વિચારવા લાગે છે ત્યારે તે વિનાશ તરફ ગતિ કરે છે. અહંકારનો ત્યાગ જ વાસ્તવિક શાંતિનો માર્ગ છે.




















