PM Narendra Modi Assam speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસમની ધરતી પરથી કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસના શાસનકાળને 'પાપોનો કાળ' ગણાવતા આરોપ લગાવ્યો હતો કે, પાર્ટીએ વોટબેંકની રાજનીતિ માટે અસમની રોટી, બેટી અને માટીને જોખમમાં નાખી દીધી છે.
રોટી, બેટી અને માટી પર જોખમ
વડાપ્રધાન મોદીએ આજે અસમમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે દેશ અને અસમની સુરક્ષા સાથે વધુ એક ગંભીર પાપ કર્યું છે. આ પાપ હવે સમગ્ર રાષ્ટ્ર અને અસમ બંને માટે મોટો ખતરો બની ગયું છે. PM મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “કોંગ્રેસ પાર્ટીએ રોટી (રોજીરોટી), બેટી (દીકરીઓ) અને માટી (જમીન) આ ત્રણેય મહત્વપૂર્ણ તત્વોની સુરક્ષાને જોખમમાં મૂકી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસ હંમેશા ઘૂસણખોરોનું સમર્થન કરતી આવી છે. દાયકાઓ સુધી કોંગ્રેસે આ વિસ્તારના મૂળ નિવાસીઓને તેમની જમીન સંબંધિત પાયાના કાયદાકીય દસ્તાવેજો પણ આપ્યા નથી, જ્યારે આદિવાસી જમીનનો મોટો હિસ્સો ઘૂસણખોરોને સોંપી દીધો.
અસમનું વસ્તીવિષયક માળખું ખોરવાયું
વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે દાયકાઓ સુધી ઘૂસણખોરોને આશરો આપવાની નીતિઓને કારણે આજે અસમનું વસ્તીવિષયક માળખું (Demographic structure) બગડી ગયું છે. આ સ્થિતિ ખાસ કરીને ધુબરી અને ગોલપારા જિલ્લાઓમાં સૌથી વધુ ભયાનક હતી. જેના પરિણામે બોડોલેન્ડમાં વસ્તીનું સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું અને સમાજમાં ઊંડું સંકટ પેદા થયું. પરંતુ હવે બદલાવનો સમય આવી ગયો છે! અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં રાજ્ય સરકારે ઘૂસણખોરો દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવેલી જમીન પાછી મેળવવાનું મોટું અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાને આ અભિયાનની પ્રશંસા કરતા કહ્યું કે આ પગલું અસમની માટી, દીકરીઓ અને સ્થાનિક લોકોની આજીવિકાના રક્ષણ માટે અત્યંત જરૂરી છે.
બોડોલેન્ડ મુદ્દે કોંગ્રેસ ‘જૂઠા વચનોનું મશીન’
PM મોદીએ અસમના બોડોલેન્ડ વિસ્તારમાં કોંગ્રેસને ‘જૂઠા વચનોનું મશીન’ ગણાવી હતી. તેમણે સીધો આરોપ લગાવ્યો કે કોંગ્રેસે દાયકાઓ સુધી બોડો સમુદાયની અનેક પેઢીઓને માત્ર સોનેરી અને જૂઠા સપનાઓની જાળમાં ફસાવી રાખી હતી. કોંગ્રેસનો હેતુ ક્યારેય સમસ્યાનું સમાધાન કરવાનો નહોતો, પરંતુ સમુદાયોને અંદરોઅંદર લડાવીને પોતાની રાજકીય રોટલી શેકવાનો હતો.
વડાપ્રધાને અંતમાં જણાવ્યું કે, જ્યારે જનતાએ કોંગ્રેસને સત્તા પરથી હટાવીને ભાજપને તક આપી, ત્યારે જ શાંતિની દિશામાં વાસ્તવિક અને ઈમાનદાર કામ શરૂ થયું. ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ સમજૂતીએ તમામ મુખ્ય સંગઠનો અને જૂથોને એક મંચ પર લાવી દીધા છે.




















