મહીસાગર જિલ્લામાં ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. સાંતલપુર તાલુકાના નરસીંગપુર ગામમાં પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કરાવવાની જીદને લઈને પિતા-પુત્ર વચ્ચે થયેલા ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું.
પિતાએ જ પુત્રની કરી હત્યા!
માહિતી મુજબ પુત્ર પ્રકાશ ભાભોર સતત લગ્ન કરાવવાની માંગ કરી રહ્યો હતો. આ બાબતે તેના પિતા રમેશભાઈ ભાભોર સાથે ઘરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતા ઉશ્કેરાયેલા પિતાએ પુત્રના માથામાં લાકડીના જોરદાર ફટકો માર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રકાશ ભાભોરને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત થયું હતું.
હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશ ફેલાવ્યો છે. મૃતકના મોટાભાઈ મોહનભાઈ ભાભોરએ પોતાના જ ભાઈ રમેશભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે સંતરામપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લગ્ન જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ પિતા-પુત્રના સંબંધને કરૂણ અંત આપ્યો છે. પોલીસ હવે સમગ્ર ઘટનાક્રમની વિગતવાર તપાસ કરી રહી છે.




















