sir draft voter list : ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલું SIR (સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન) અભિયાન હવે પૂર્ણ થયું છે. આ અભિયાન અંતર્ગત રાજ્યભરના મતદારોની માહિતી ચકાસવા માટે વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી. અભિયાન પૂર્ણ થતાં આજે રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, જે બાદ મતદારોને પોતાના નામ અને વિગતો ચકાસવાની તક મળશે.
4.34 કરોડ ફોર્મ પરત મળ્યા
રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદારોને ફોર્મ વહેંચવામાં આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 4.34 કરોડ ફોર્મ પરત મળ્યા છે. આ રીતે મોટાભાગના મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં 44.45 લાખ મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી, જે ચૂંટણી પંચ માટે મહત્વપૂર્ણ પડકારરૂપ બન્યું છે. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં અનિયમિતતાઓ પણ સામે આવી છે. રાજ્યમાં કુલ 18,07,227 મતદારોના નામ મૃત્યુ પામેલા હોવા છતાં મતદાર યાદીમાં નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. સાથે જ 9,69,813 મતદારો પોતાના નોંધાયેલા સરનામે ગેરહાજર જોવા મળ્યા છે. આ આંકડાઓને આધારે મતદાર યાદીની શુદ્ધતા માટે સુધારણા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ફોર્મ-6 ભરીને પોતાનું નામ ઉમેરાવી શકશે
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં જો કોઈ મતદારનું નામ સામેલ ન હોય, તો તેવા મતદારો પુરાવા સાથે ફોર્મ-6 ભરીને પોતાનું નામ ઉમેરાવી શકશે. ઉપરાંત, મતદારોને 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ વાંધા અથવા સુધારાઓ રજૂ કરવાની પણ તક આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે SIR અભિયાનની શરૂઆત 27 ઓક્ટોબરથી કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ મતદાર યાદીને વધુ પારદર્શક, ચોક્કસ અને અપડેટેડ બનાવવાનો હતો. હવે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ અંતિમ યાદી તૈયાર કરવાની પ્રક્રિયા આગળ વધશે.





















