બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પર અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રાનું 14 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નિધન થયું છે, જેના કારણે મલ્હોત્રા અને અડવાણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પિતાના અવસાનથી સિદ્ધાર્થ ભાંગી પડ્યો છે, તો બીજી તરફ વહુ કિયારા અડવાણી પણ તેના સસરાના નિધનથી અત્યંત ભાવુક જોવા મળી રહી છે. કિયારા તેના સસરા સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતી હતી અને આ મુશ્કેલ સમયમાં તેણે સોશિયલ મીડિયા પર એક અત્યંત હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી પોતાના સસરાને યાદ કર્યા છે. કિયારાની આ પોસ્ટ વાંચીને ફેન્સ પણ ભાવુક થઈ રહ્યા છે અને અભિનેત્રીને એક 'પરફેક્ટ વહુ' ગણાવી રહ્યા છે.
લગ્નની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સાથે આપી શ્રદ્ધાંજલિ
કિયારા અડવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્ન સમયની એક જૂની યાદગાર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. આ ફોટામાં કિયારા તેના સસરા સુનીલ મલ્હોત્રા સાથે હસતા મુખે પોઝ આપી રહી છે, જ્યારે સાથે સાસુ અને પતિ સિદ્ધાર્થ પણ જોવા મળી રહ્યા છે. આ એક સુખી પરિવારની તસવીર શેર કરતા કિયારાએ તેના સસરાના ગુણોનું વર્ણન કરતી લાંબી નોટ લખી છે.
સસરાના પ્રેમ અને હૂંફને યાદ કરી કિયારા થઈ ભાવુક
કિયારાએ તેની પોસ્ટમાં લખ્યું કે, "શરૂઆતથી જ તમે મને ખુલ્લા દિલથી અપનાવી અને પ્રેમ સાથે મારું સ્વાગત કર્યું. તમારી હૂંફ હંમેશા અનુભવાતી હતી. પરિવાર માટે તમારો પ્રેમ સૌથી ઉપર હતો અને તમે હંમેશા દરેક વળાંક પર અમારી સાથે અડીખમ ઊભા રહ્યા હતા. તમે હંમેશા અમારી વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળતા હતા."
કિયારાએ આગળ જણાવ્યું કે, તેના સસરા નાની-નાની વાતો પણ યાદ રાખતા હતા અને તેમણે બદલામાં કોઈ અપેક્ષા રાખ્યા વગર પરિવારને અઢળક પ્રેમ આપ્યો છે. કિયારાએ કહ્યું કે સસરાની વાર્તાઓ, તેમનું હસવું અને તેમનું કોમળ હૃદય હંમેશા તેની યાદોમાં જીવંત રહેશે.
વારસામાં છોડી ગયા પ્રામાણિકતા અને પ્રેમની વિરાસત
પોતાની લાગણી વ્યક્ત કરતા કિયારાએ વધુમાં લખ્યું, "તમે તમારી પાછળ કોમળતા, પ્રામાણિકતા અને અતૂટ પ્રેમની જે વિરાસત છોડી ગયા છો, તે તમારા બાળકો, પૌત્ર-પૌત્રીઓ અને અમારા બધામાં હંમેશા જીવંત રહેશે. અમે ભાગ્યશાળી છીએ કે અમને તમને જાણવાનો અને તમારી સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો. અમે તમને હંમેશા મિસ કરીશું અને તમે સદા અમારા હૃદયમાં રહેશો."
સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ પિતાને કર્યા યાદ
કિયારા પહેલા સિદ્ધાર્થે પણ તેના પિતા માટે એક ભાવુક પોસ્ટ મૂકી હતી. સિદ્ધાર્થે લખ્યું હતું કે, "હું આજે જે કંઈ પણ છું, તે તમારી વજહથી જ છું. હું હંમેશા તમારા નામ, તમારા મૂલ્યો અને તમારા પ્રકાશને આગળ ધપાવતો રહીશ. લવ યુ ડેડ."




















