Shreyas Iyer Injury Update: શ્રેયસ ઐયર માટે સારા સમાચાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડે દરમિયાન કેચ પકડતી વખતે ઈજા થયા બાદ તેને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આંતરિક રક્તસ્રાવ રોકવા માટે તેની સર્જરી કરવામાં આવી હતી અને ત્યારથી તે હોસ્પિટલમાં છે. BCCIએ આજે (1 નવેમ્બરે) તેનું ત્રીજું મેડિકલ અપડેટ જાહેર કર્યું, જેમાં કહેવામાં આવ્યું કે, શ્રેયસ ઐયરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
BCCI એ તેના નિવેદનમાં જણાવ્યું હતું
"શ્રેયસ ઐયરને 25 ઓક્ટોબર 2025ના રોજ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે પેટમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેના બરોળમાં ઈજા થઈ હતી અને આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. ઈજાની તાત્કાલિક ઓળખ થઈ હતી અને નાના ઓપરેશન પછી તરત જ આંતરિક રક્તસ્ત્રાવ બંધ થઈ ગયો હતો. તેને યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી છે," BCCI એ તેના નિવેદનમાં જણાવ્યું હતું. BCCIએ વધુમાં જણાવ્યું હતું કે, "તેની હાલત હવે સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. BCCI મેડિકલ ટીમ, સિડની અને ભારતના નિષ્ણાતો સાથે, તેમની સ્વસ્થતાથી ખુશ છે અને તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે." BCCIએ આગળ લખ્યું, "અમે સિડનીમાં Dr. Koroush Haghighi અને તેમની ટીમ તેમજ ભારતમાં Dr. Dinshaw Pardiwalaનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે શ્રેયસને તેની ઈજા માટે શ્રેષ્ઠ શક્ય સારવાર મળે તેની ખાતરી કરી. શ્રેયસ વધુ મૂલ્યાંકન માટે સિડનીમાં જ રહેશે. ડોકટરો તેને ઉડાન માટે યોગ્ય જાહેર કર્યા પછી તે ભારત પાછો ફરશે."
શ્રેયસ ઐયરને કેવી રીતે ઈજા થઈ?
ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 34મી ઓવરના ચોથા બોલ પર, એલેક્સ કેરીએ શોટ મારવાનો પ્રયાસ કર્યો અને તે બોલ પાછળની તરફ હવામાં ગયો. શ્રેયસ ઐયર બેકવર્ડ શોર્ટ લેગ પર ઉભો હતો અને તેને પાછળ દોડવું પડ્યું. પાછળ દોડીને, તેને ડાઇવ કરી અને એક શાનદાર કેચ પકડ્યો, પરંતુ તે તેની છાતી પર પડતાં જ તે પીડાથી કણસવા લાગ્યો. ફિઝિયો આવ્યા અને તરત જ તેને બહાર કાઢ્યો. સ્કેનથી તેની ઈજાની ગંભીરતા બહાર આવી.





















