Home Sports IPL 2026 Shreyas Iyer Century Pbks Vs Lsg Ipl Playoff Scenarios

શ્રેયસ અય્યરની વિસ્ફોટક સદી : પંજાબ કિંગ્સે લખનઉને હરાવી પ્લેઓફની રેસમાં પોતાને રાખ્યું જીવંત

Shreyas Iyer, Punjab Kings
Published by: Vishal Dave
Last Updated: May 23, 2026, 09:11 PM IST

આઈપીએલની એક અત્યંત રોમાંચક અને નિર્ણાયક મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. આ કરો કે મરો સમાન મુકાબલામાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ સદી નોંધાવી ટીમને વિજય અપાવ્યો હતો. આ મહત્વપૂર્ણ જીતની સાથે જ પંજાબ કિંગ્સની પ્લેઓફમાં ક્વોલિફાય થવાની આશાઓ હજુ પણ અકબંધ છે. આ મેચ જીત્યા બાદ PBKS પાસે હવે 15 પોઈન્ટ્સ થઈ ગયા છે. જોકે પંજાબનો આગળનો રસ્તો હવે મુખ્યત્વે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી મેચના પરિણામ પર નિર્ભર રહેશે.

લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં LSGની ટીમે પ્રથમ બેટિંગ પસંદ કરીને સ્કોરબોર્ડ પર 196 રન બનાવ્યા હતા. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે માત્ર 18 ઓવરમાં જ મેચ પોતાના નામે કરી લીધી હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે સિક્સર ફટકારીને પંજાબને વિજય અપાવ્યો હતો. તેમણે માત્ર 51 બોલનો સામનો કરીને પોતાની યાદગાર સદી પૂરી કરી હતી.

પંજાબ કિંગ્સ માટે પ્લેઓફના સમીકરણો

પંજાબ કિંગ્સે ટૂર્નામેન્ટમાં પોતાની તમામ 14 લીગ મેચ રમી લીધી છે અને ટીમ 15 પોઈન્ટ્સ સાથે આગળ વધી રહી છે. હાલમાં તેમનો નેટ રન રેટ +0.309 જોવા મળી રહ્યો છે. પંજાબે જો અંતિમ ચારમાં સ્થાન મેળવવું હોય તો આગામી મેચોના પરિણામો તેમના પક્ષમાં આવે તેવી પ્રાર્થના કરવી પડશે. સૌપ્રથમ પંજાબે આશા રાખવી પડશે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રાજસ્થાન રોયલ્સને હરાવી દે. ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ દિલ્હી કેપિટલ્સને પરાજય આપે પરંતુ તે જીત ખૂબ મોટા માર્જિનથી ના હોવી જોઈએ.

શ્રેયસ અય્યરની ઐતિહાસિક ઈનિંગ અને પ્રભસિમીરનનો સાથ

પોતાની 12 વર્ષની લાંબી આઈપીએલ સફરમાં શ્રેયસ અય્યરે પ્રથમ વખત સદીનો આંકડો પાર કર્યો છે. તેમણે લખનઉ સુપર જાયન્ટ્સના બોલર્સની જોરદાર ધુલાઈ કરતા 51 બોલમાં અણનમ 101 રન ફટકાર્યા હતા. પોતાની આ ધમાકેદાર ઈનિંગમાં તેમણે 11 ચોગ્ગા અને 5 ગગનચુંબી સિક્સર ફટકારી હતી. અય્યર પોતાના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 32 અર્ધસદી પણ નોંધાવી ચૂક્યા છે.

લખનઉ સામે પંજાબને વિજય અપાવવામાં પ્રભસિમરન સિંહે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 39 બોલમાં 69 રનની અત્યંત ઉપયોગી ઈનિંગ રમી હતી. પંજાબે જ્યારે માત્ર 22 રનના સ્કોર પર પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે પ્રભસિમરન ક્રીઝ પર આવ્યા હતા. તેમણે કેપ્ટન શ્રેયસ અય્યર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 140 રનની મજબૂત ભાગીદારી કરીને મેચનું પાસું પંજાબ તરફ પલટી નાખ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now