Shravan Special Offer: પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે. ત્યારે AMC દ્વારા નાગરિકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ મનપા અંતર્ગત આવતી AMTS દ્વારા વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે. અલગ-અલગ વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરોમાં લોકોને દર્શન કરાવશે. આ યોજનાનો લાભ લઈ ધાર્મિક સ્થળોના દર્શનનો લ્હાવો લેવા માટે નાગરિકોએ શહેરના લાલદરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણીનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે.
આ યોજના અંતર્ગત નાગરિકોને સવારે 8:15 વાગ્યે ઘરમાંથી લાવી, શહેરના 8થી 10 જેટલા જાણીતા મંદિરોમાં દર્શન કરાવી, સાંજે 4:45 વાગ્યે પાછા ઘેર મૂકવામાં આવશે.ત્રિમંદિર, અડાલજમાં ટ્રાફિકની સમસ્યાને લીધે તેને રૂટમાં સમાવિષ્ટ ન કરવામાં આવ્યો છે. દરેક બસમાં 30થી 40 યાત્રીઓને લાવ જાવ કરવાની ક્ષમતા છે.
આ યોજનામાં શહેરની અંદર રહેતા નાગરિકો માટે દર બસ રૂ. 3000 અને ઔડાની હદમાં રહેતા નાગરિકો માટે રૂ. 5000 નક્કી કરાયું છે. નાગરિકોએ પોતાના પ્રોપર્ટી ટેક્સ બિલ અને પેમેન્ટની પાવતીની નકલ પણ જમા કરાવવી રહેશે. AMTS દ્વારા શ્રાવણ માસ માટે 80 અલગથી બસો ફાળવવામાં આવી છે, જેથી રૂટીન સેવા પર અસર ન થાય. AMTSના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યુ હતું કે, ભક્તોએ આ ખાસ સેવાનો વધુમાં વધુ લાભ લેવા આમંત્રિત છે.





















