મુઝફ્ફરનગરના મોહલ્લા લદ્દાવાલામાં વર્ષોથી બંધ પડેલા શિવ મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તરપ્રદેશમાં એક પછી એક ઘણા જૂના મંદિરો સામે આવ્યા છે, જે વર્ષોથી બંધ હતા. આ મંદિરમાં કોઈ પૂજા કરવા પણ આવતું ન હતું.
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી મળેલા 54 વર્ષ જૂના બંધ મંદિરનું આજે શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. આ શિવ મંદિર મુઝફ્ફરનગરના મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં આવેલું છે. અહિંયા મહારાજ યશવીરસિંહની સાથે મોટી સંખ્યામાં હિંદુ સંગઠનોના લોકો પણ પૂજા કરવા પહોંચ્યા હતા. હિન્દુ સમાજના લોકો પૂજા કરવા પહોંચ્યા કે તરત જ મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ સમાજના લોકોનું ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું. આ પછી, મંદિરના દરવાજા ખુલતાની સાથે જ 'જય શ્રી રામ'ના નારા પણ લાગવા લાગ્યા.
મુઝફ્ફરનગરના મહોલ્લા લદ્દાવાલામાં 1970માં સ્થપાયેલું આ શિવ મંદિર ખંડેર હાલતમાં મળી આવ્યું હતું, જેના કારણે યોગ સાધના આશ્રમના મહંત સ્વામી યશવીરસિંહ મહારાજે આ 54 વર્ષ જૂના શિવ મંદિરને ફરીથી જાગૃત કરવા મંદિરને શુદ્ધ કરવાની જાહેરાત કરી હતી.
સ્વામી યશવીરજી મહારાજે આજે મંદિરનું શુદ્ધિકરણ કર્યું હતું. જેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જો કે, આ વિસ્તારના મુસ્લિમોએ પહેલેથી જ કહ્યું હતું કે, તેઓ હિન્દુઓની આસ્થાનું સન્માન કરે છે અને મંદિરમાં પૂજા કરવા આવતા લોકોનું સ્વાગત કરશે. મહત્વનું છે કે, મંદિરના શુદ્ધિકરણ પહેલા જ શનિવારે મુઝફ્ફરનગરના ઉચ્ચ અધિકારીઓએ તે વિસ્તારના પ્રતિષ્ઠિત લોકો સાથે બેઠક કરીને જ્યાં મંદિર આવેલું છે ત્યાં લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તરપ્રદેશમાં એક પછી એક ઘણા જૂના મંદિરો પ્રકાશમાં આવ્યા છે, જે વર્ષોથી બંધ હતા. અહીં કોઈ પૂજા કરવા આવતું ન હતું. તેની પ્રક્રિયા સંભલના શિવ મંદિરથી શરૂ થઈ હતી. જે મુઝફ્ફરનગર સુધી પહોંચી છે. હવે આ મંદિરોમાં પૂજા થઈ રહી છે, જેને લઈને હવે અનેક લોકો હવે મંદિરમાં પૂજા કરવા આવી રહ્યા છે.






