દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ ફરી એકવાર વિવિધ ધાર્મિક મુદ્દાઓ અને કેટલાક સંપ્રદાયોને લઈ લાલઘૂમ થયા છે. પરમહંસી ગંગા આશ્રમ શ્રીધામથી ચાતુર્માસ્ય વ્રત વિધિ દરમિયાન તેમણે ''સનાતન ધર્મને બદનામ કરી સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે'' તેમ જણાવ્યું હતું. સાથો સાથ અશાસ્ત્રીય સંપ્રદાયોને લઈ પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
''અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે''
દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, ''ઈસ્કોનવાળા ષડયંત્ર કરી રહ્યા છે અને ધર્મનો વેશ ધારણ કરીને હિન્દુ કહેવડાવતા નથી, ઈસ્કોનવાળા રૂપિયા ભેગા કરીને વિદેશોમાં મોકલે છે'' તેમણે કહ્યું કે, ''સનાતન ધર્મને બદનામ કરી સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે અને ધાર્મિકતાનો વેશ પહેરીને ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી છે''
"ધર્મની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડે છે"
સ્વામી સદાનંદ સરસ્વતીએ સ્વામીનારાયણ સંપ્રદાય સામે પણ રોષ ઠાલવતા કહ્યું કે, "ગુજરાતમાં 200-400 વર્ષથી શરૂ થયેલા આ સંપ્રદાયે હનુમાનજીને સ્વામિનારાયણના દાસ તરીકે રજૂ કર્યા, જે સનાતન ધર્મની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડે છે". વધુમાં કહ્યું કે, "ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવતા યજ્ઞોમાં કોઈ શાસ્ત્રીય વિધિનું પાલન થતું નથી. આવા યજ્ઞો દેશ પર સંકટો લાવે છે."
શંકરાચાર્યએ બ્રહ્માકુમારી સંપ્રદાયને લઈને પણ બોલ્યા
શંકરાચાર્યએ બ્રહ્માકુમારી સંપ્રદાયની માન્યતાઓ લઈ કહ્યું કે, "બ્રહ્માકુમારી શિવજી અને શંકરજીને અલગ ગણે છે, જે સનાતન ધર્મની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. શિવ શબ્દનો સાચો અર્થ સમજ્યા વિના તેઓ ખોટી વ્યાખ્યા આપે છે."





















