બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે ન્યાય મળ્યા બાદ ભાવનગરના અક્ષરપાર્ક ખાતે કોળી સમાજ દ્વારા ભવ્ય ‘ન્યાય સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ન્યાય સભામાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ન્યાયની માંગ તથા આક્રોશભર્યા નારાઓથી ગુંજતું રહ્યું હતું.
'માયાભાઈ ચોર છે… માયાભાઈ ચોર છે…'
ન્યાય સભા દરમિયાન માયાભાઈ અને અંબરીશ ડેર પર જમીન પચાવી પાડવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. સભામાં હાજર એક ખેડૂતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે માયાભાઈ અને અંબરીશભાઈએ સાથે મળીને કરોડો રૂપિયાની જમીનનો બિનપાત્ર દસ્તાવેજ કરાવી લીધો છે. આ દસ્તાવેજ અંબરીશભાઈ ડેર અને માયાભાઈના પુત્ર ભરતભાઈના નામે કરાવવામાં આવ્યો હોવાનો પણ આરોપ મૂકાયો હતો. આ મુદ્દે ન્યાય સભામાં “માયાભાઈ ચોર છે… માયાભાઈ ચોર છે…” જેવા આક્રોશભર્યા નારા લગાવવામાં આવ્યા હતા.
'...કરોડો રૂપિયાની જમીન બિનપાત્ર દસ્તાવેજ દ્વારા હડપ કરી છે'
રાજુલાના જીતુભાઈ ધાપડાએ જણાવ્યું હતું કે 'અંબરીશભાઈ અને માયાભાઈએ તેમની કરોડો રૂપિયાની જમીન બિનપાત્ર દસ્તાવેજ દ્વારા હડપ કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે જો આ મામલે પૂરી તપાસ કરવામાં આવે તો લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ બને. જીતુભાઈએ જણાવ્યું કે, વર્ષ 2007માં તેમની જમીન સંબંધિત આધાર પુરાવા નાશ કરવામાં આવ્યા હતા, જ્યારે 2007થી જમીનનો કબજો તેમના પાસે છે'. તેમના જણાવ્યા અનુસાર આ જમીનના બીજા કોઈ ખાતેદાર નથી. જમીન પડાવી લેવા માટે અંબરીશભાઈ ડેર 2017માં ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ 2019માં માયાભાઈના પુત્ર ભરતભાઈના નામે દસ્તાવેજ કરાવવામાં આવ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો.
'બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે તમામ સેટિંગ થઈ ગયેલું છે'
જીતુભાઈ ધાપડાએ વધુમાં જણાવ્યું હતું કે, “આજે એના સમાજના લોકો કહે છે કે 500-500 ગાડી લઈને આવશે, તો આવો. જમીન પર કબજો તો જીતુભાઈ પાસે જ છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે તમામ સેટિંગ થઈ ગયેલું છે. બિનપાત્ર દસ્તાવેજ હોવાથી મારો હુકમ નીકળી ગયો છે. આજે બધા રજૂ થયા છે, પરંતુ સામે પક્ષમાંથી કોઈ હાજર રહ્યું નથી. મેઈન માલિક બાલુભાઈ બચુભાઈ કોર્ટમાં હાજર થઈ વાડીમાં પંચનામું કરી ગયા હતા અને ત્યાં પણ તેઓ હારી ગયા હતા.” તેમણે પોલીસ વિભાગ પર પણ આડકતરી રીતે ગંભીર આક્ષેપો કર્યા હતા.
'કોળીના દીકરાને માર મારવા માટે ભાડે માણસો લાવવા પડે છે'
ન્યાય સભા દરમિયાન નવનીત બાલધિયાએ ભાવુક અવાજે કહ્યું હતું, “હું કોળીનો દીકરો છું અને કોળીના દીકરાને માર મારવા માટે ભાડે માણસો લાવવા પડે છે.” તેમના આ શબ્દો સાંભળીને સમગ્ર સભામાં ભારે ભાવુકતા જોવા મળી હતી. આ ન્યાય સભામાં કોળી સમાજના આગેવાનો અને લોકોએ પારદર્શક તપાસ, દોષિતોને કડક સજા અને જમીન હડપના તમામ આરોપોની નિષ્પક્ષ તપાસ કરવાની મજબૂત માંગ કરી હતી.





















