Morbi Pedestrian Accident : મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. શિવમ હોટલ પાસે બનાસકાંઠાના થરાદ તરફથી દ્વારકા તરફ પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને એક ટ્રકે હડફેટે લીધા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર પદયાત્રીકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા, જ્યારે એક પદયાત્રીકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતમાં ચાર પદયાત્રીકોના મોત
પ્રાપ્ત માહિતી મુજબ આજે વહેલી સવારે ટ્રક ચાલકે નિયંત્રણ ગુમાવતા રોડ કિનારે ચાલતા પદયાત્રીકોને અડફેટે લીધા હતા. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને મોરબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં અમરાભાઈ લાલાભાઈ ચૌધરી (ઉ.વ. 60) અને ચૌધરી ભગવાનભાઈ લાલાભાઈ (ઉ.વ. 65) બંને રહે. ગામ નવાગામ, તાલુકો દિયોદર તેમજ ચૌધરી હાર્દિક માળાભાઈ અને ચૌધરી દિલીપભાઈ રાયાભાઈ રહે. ગામ અધગામ, તાલુકો કાકરેચવાળા. એમ કુલ ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે નરસંગભાઈ સગથાભાઈ પટેલ (ઉ.વ. 50) રહે. ગામ નવા દિયોદરને ઈજાઓ પહોંચી છે.
પરિવારમાં શોકનો માહોલ
આ દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની ગંભીરતા જોતા ધારાસભ્ય હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તેમજ મૃતદેહોને તેમના વતન લઈ જવા માટે જરૂરી વ્યવસ્થા પણ કરી આપી હતી. આ હૃદયદ્રાવક અકસ્માતે એક સાથે ચાર પરિવારના ઘરમાં શોક છવાવી દીધો છે.





















