રડવું એ સામાન્ય રીતે ભાવનાત્મક પ્રતિક્રિયા લાગે છે, પરંતુ દરેક આંસુ પાછળ બાયોલોજી, કેમિસ્ટ્રી અને મગજની પ્રવૃત્તિનું એક જટિલ મિશ્રણ છુપાયેલું હોય છે. ભલે તે અત્યંત દુઃખ હોય, ખુશીના આસું હોય કે ડુંગળી કાપતી વખતે થતી બળતરા, આ સમગ્ર પ્રક્રિયા શરીરની એક સુવ્યવસ્થિત સિસ્ટમ દ્વારા નિયંત્રિત થાય છે. ચાલો સમજીએ આંસુ આવવા પાછળનું વિજ્ઞાન.
તમામ આંસુ એકસરખા હોતા નથી માનવ શરીર ત્રણ પ્રકારના આંસુ ઉત્પન્ન કરે છે, જેનું કાર્ય અલગ-અલગ હોય છે:
બેસલ આંસુ: આંખને ભેજવાળી રાખવા અને પોષણ આપવા માટે.
રિફ્લેક્સ આંસુ: ધૂળ, ધુમાડા કે ડુંગળી જેવી બળતરા પેદા કરતી વસ્તુઓ સામે રક્ષણ આપવા.
ઇમોશનલ આંસુ: દુઃખ, ગુસ્સો કે અત્યંત ખુશી જેવી લાગણીઓના પ્રતિભાવમાં.
મગજ અને આંસુનો સંબંધ
જ્યારે આપણે ભાવુક થઈએ છીએ, ત્યારે મગજનું લિમ્બિક સિસ્ટમ, ખાસ કરીને હાયપોથેલેમસ સક્રિય થાય છે. આ ઇમોશનલ સેન્ટર આંખના ઉપરના ભાગમાં આવેલી 'લેક્રિમલ ગ્લેન્ડ્સ' (Lacrimal Glands) ને સિગ્નલ મોકલે છે, જેના કારણે આંસુ વહેવાનું શરૂ થાય છે.
તણાવ દૂર કરવાનું સાધન
વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે ભાવનાત્મક આંસુમાં તણાવ સાથે જોડાયેલા કેમિકલ્સ અને હોર્મોન્સ હોય છે. તેમાં 'લ્યુસીન એન્કેફાલિન' નામનું કુદરતી દર્દનિવારક તત્વ પણ હોય છે. આંસુ દ્વારા આ પદાર્થો બહાર નીકળી જવાથી શરીરનો ભાવનાત્મક તણાવ ઓછો થાય છે. આ જ કારણ છે કે રડ્યા પછી વ્યક્તિ હળવાશ અને શાંતિ અનુભવે છે.
રક્ષણાત્મક રિફ્લેક્સ
જ્યારે કોઈ હાનિકારક વસ્તુ આંખમાં જાય છે, ત્યારે સેન્સરી નર્વ્સ મગજને તરત જ ચેતવણી આપે છે. તેના જવાબમાં મગજ રિફ્લેક્સ આંસુ ઉત્પન્ન કરવાનો આદેશ આપે છે, જેથી તે પદાર્થ આંખમાંથી બહાર નીકળી જાય અને આંખ સુરક્ષિત રહે.
આંખનું કુદરતી કવચ
તમે રડતા ન હોવ ત્યારે પણ તમારી આંખો સતત બેસલ આંસુથી ઢકાયેલી રહે છે. આ આંસુમાં પાણી, તેલ અને એન્ટિબેક્ટેરિયલ એન્ઝાઇમ હોય છે. તે આંખમાં સૂકાપણું અટકાવે છે, ઇન્ફેક્શનનું જોખમ ઘટાડે છે અને દ્રષ્ટિને સ્પષ્ટ રાખવામાં મદદ કરે છે.
આંસુ ક્યાંથી આવે છે?
આંસુ દરેક આંખના સોકેટના ઉપરના બહારના ભાગમાં આવેલી લેક્રિમલ ગ્લેન્ડ્સ દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે આ ગ્રંથિઓ ભાવના કે ઉત્તેજનાને કારણે વધુ સક્રિય થાય છે, ત્યારે પ્રવાહીનું પ્રમાણ વધી જાય છે અને તે પાંપણોમાંથી બહાર નીકળી ગાલ પર વહેવા લાગે છે.





















