આખરે સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા છ દિવસથી સૈફ મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં એડમિટ થયેલો હતો. જ્યાં તેના પર થયેલા હુમલા બાદ ઈલાજ ચાલી રહ્યો હતો. હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે. ચોરીના ઈરાદે આવેલા શખ્સે કરેલા હુમલામાં સૈફ અલી ખાનને ઈજા થતા 2 સર્જરી કરવામાં આવી હતી. તેને સતત ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો અને આખરે હવે તેને રજા મળી છે. સૈફ પત્ની અને માતા સાથે બાંદ્રા સ્થિત તેમના ઘરમાં ફરી આવ્યા છે અને તબીબોએ તેમને આરામની સલાહ આપી છે.
સૈફ અલી ખાનને ઊંડા ઘા વાગ્યા હતા. જેને ભરાવામાં સમય લાગી શકે છે. સૈફને પૂર્ણ રીતે સ્વસ્થ થતા કેટલાક મહિના લાગશે. એટલે તેને ફરજિયાત આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, આરામ દરમિયાન સૈફને કોઈને મળવાની છુટ નથી આપવામાં આવી. કારણ કે અનેક લોકોને મળવાથી તેને ચેપ લાગી શકે છે. આવા કારણોથી તબીબોએ પરિવારને કહ્યું છે કે, તેઓ ખાસ ધ્યાન રાખે.
પોલીસે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હુમલો કરનાર આરોપી શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી છે. આરોપી બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હતો અને છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં રહેતો હતો. તેણે ઘણા દસ્તાવેજો બનાવડાવ્યા હતા, જેમાં ભારતનું આધાર કાર્ડ પણ સામેલ હતું. આરોપી શરીફુલ, જે અનેક નોકરીઓમાં સામેલ હતો, તે ચોરી સહિત અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો. હવે પોલીસે તપાસ તેજ કરી છે.




















