Sachin Tendulkar : સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને કોઈપણ ભાવુક થઈ જશે. 'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકર સામાન્ય રીતે શાંત રહેતા હોય છે, પરંતુ હાલમાં તેઓ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નથી. મહાન ગાયિકા આશા ભોંસલેના નિધન બાદ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા સચિન તેંડુલકર કેમેરા સામે રડતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યોએ ભારતના કરોડો ફેન્સના દિલ જીતી લીધા છે.
અંતિમ વિદાયમાં ભાવુક ક્ષણો
ગાયિકા આશા ભોંસલેના નિધન બાદ સચિન તેંડુલકર તેમની પત્ની અંજલિ તેંડુલકર સાથે મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં પરિવારના સભ્યો સાથે વાતચીત કરતી વખતે સચિન ભારે ભાવુક થઈ ગયા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સચિન વારંવાર પોતાના ચહેરા પરથી આંસુ લૂછતા હતા. આ ક્ષણ દર્શાવે છે કે સચિનના જીવનમાં આશા ભોંસલેનું સ્થાન કેટલું ઊંચું હતું.
આશા તાઈનું નિધન અને અંતિમ સંસ્કાર
ભારત રત્ન સન્માનિત આશા ભોંસલેનું 92 વર્ષની વયે રવિવારે મુંબઈમાં અવસાન થયું હતું. શનિવારે તબિયત લથડતા તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોના પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નથી. સોમવારે સાંજે 4:00 વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું, જ્યાં અનેક દિગ્ગજો તેમને વિદાય આપવા ઉમટી આવ્યા છે.
સચિન અને આશા ભોંસલેનો અતૂટ સંબંધ
સચિન તેંડુલકર અને આશા ભોંસલે વચ્ચે વર્ષોથી પારિવારિક સંબંધો રહ્યા છે. સચિન તેમને માત્ર એક ગાયિકા તરીકે જ નહીં, પણ પોતાના પરિવારના સભ્ય તરીકે માન આપતા હતા. આશા ભોંસલે તાજેતરમાં સચિનના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નમાં પણ હાજર રહ્યા હતા. આ જ કારણ છે કે, તેમના જવાથી સચિનને વ્યક્તિગત ખોટ પડી હોય તેવું અનુભવાઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર હૃદયસ્પર્શી પોસ્ટ
આશા તાઈના નિધન પર શોક વ્યક્ત કરતા સચિને 'X' (ટ્વિટર) પર એક ભાવુક પોસ્ટ પણ લખી હતી. તેમણે લખ્યું કે, "અમારા માટે આશા તાઈ પરિવાર જેવી હતી. આજે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તેનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે છે. તેમના અમર ગીતો દ્વારા તેઓ હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે. અમે તેમને હંમેશા યાદ કરીશું."





