Shoaib Akhtar and Mohammad Asif : ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હંમેશા સંવેદનશીલ રહ્યા છે. બંને દેશો વચ્ચે ક્રિકેટને રાજદ્વારી સંબંધો સાથે પણ જોડીને જોવામાં આવે છે. આવા સમયે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)ના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી RVS મણિએ એક પોડકાસ્ટમાં કરેલા ગંભીર દાવાઓએ નવી ચર્ચા જગાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2006-07 દરમિયાન ભારત પ્રવાસે આવતી પાકિસ્તાની ક્રિકેટ ટીમ અને તેના પ્રતિનિધિમંડળના કેટલાક સભ્યો ભારત ડ્રગ્સની દાણચોરી માટે ઉપયોગમાં લેવાતા હતા. આ દાવામાં તેમણે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફના નામ પણ લીધા છે. RVS મણિ વર્ષ 2006થી 2010 દરમિયાન ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર રાજ્યો અને આતંકવાદ સંબંધિત સંવેદનશીલ મુદ્દાઓ તેમના કાર્યક્ષેત્રમાં સામેલ હતા. નિવૃત્તિ બાદ એક પોડકાસ્ટમાં તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન મળેલી માહિતી અને સુરક્ષા એજન્સીઓના મૂલ્યાંકન અંગે ચર્ચા કરી હતી.
'પાકિસ્તાનનું દરેક પ્રતિનિધિમંડળ ડ્રગ્સ લઈને આવતું હતું'
પોડકાસ્ટ દરમિયાન RVS મણિએ દાવો કરતાં કહ્યું, "મારા કાર્યકાળ દરમિયાન જ્યારે પણ પાકિસ્તાનની ટીમ, પ્રતિનિધિમંડળ અથવા અન્ય કોઈ સત્તાવાર ડેલિગેશન ભારત આવતું હતું ત્યારે તેઓ પોતાની સાથે ડ્રગ્સ લાવતા હતા. આ વ્યક્તિગત ઉપયોગ માટે નહોતું પરંતુ સંગઠિત રીતે ભારતમાં પહોંચાડવામાં આવતું હતું અને તેની પાછળ ISIનો હાથ હતો." તેમણે વધુમાં કહ્યું, "આ કેસની નોંધ લેવામાં આવી હતી. શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફે પાકિસ્તાનના હાઈ કમિશનર સમક્ષ સ્વીકાર્યું હતું કે તેઓ ડ્રગ્સ લઈને આવ્યા હતા. ત્યારબાદ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા." મણિના જણાવ્યા અનુસાર, આ માત્ર બે ખેલાડીઓ પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ ભારત આવતી પાકિસ્તાની ટીમ અને અન્ય પ્રતિનિધિમંડળો દ્વારા ડ્રગ્સ ટ્રાફિકિંગ કરવામાં આવતું હોવાનો સુરક્ષા એજન્સીઓને શંકા હતી.
આ પણ ખાસ વાંચો : Lionel Messiની ટીમે અચાનક કેમ બદલી જર્સી? : વર્લ્ડ કપની સૌથી મોટી મેચ પહેલા જર્સીને લઈને આર્જેન્ટિનાનો ચોંકાવનારો નિર્ણય
બોબ વૂલમરના મોત સાથે પણ જોડ્યો દાવો
RVS મણિએ પોતાના નિવેદનમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કોચ બોબ વૂલમરના 2007માં થયેલા શંકાસ્પદ મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "16 ઓક્ટોબરે આ ઘટના સામે આવી હતી. ત્યારબાદ લગભગ છ મહિના પછી માર્ચમાં પાકિસ્તાન ટીમના ઈંગ્લિશ કોચ બોબ વૂલમર, જે પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા કરવામાં આવતી ડ્રગ્સ ટ્રાફિકિંગનો વિરોધ કરી રહ્યા હતા, તેમની શંકાસ્પદ સંજોગોમાં હત્યા કરવામાં આવી." ઉલ્લેખનીય છે કે બોબ વૂલમરનું 18 માર્ચ, 2007ના રોજ જમૈકામાં વર્લ્ડ કપ દરમિયાન હોટેલ રૂમમાં અવસાન થયું હતું. શરૂઆતમાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં થયેલી સત્તાવાર તપાસમાં હત્યાનો કોઈ પુરાવો મળ્યો નહોતો અને કેસને કુદરતી મૃત્યુ તરીકે નોંધવામાં આવ્યો હતો.
ડ્રગ્સ અને આતંકવાદી ફંડિંગ અંગેનો દાવો
RVS મણિએ કહ્યું કે તે સમયના ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી (DIA)ના મૂલ્યાંકન મુજબ ભારતમાં થતા અંદાજે 30 ટકા આતંકવાદી હુમલાઓનું ફંડિંગ ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવતું હતું. તેમણે કહ્યું, "DIAના મૂલ્યાંકન પ્રમાણે ભારતમાં થતા લગભગ 30 ટકા આતંકવાદી હુમલાઓ માટેનું ભંડોળ ડ્રગ્સ ટ્રાફિકિંગમાંથી આવતું હતું. પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ ભારતમાં ડ્રગ્સ લાવતું હતું અને આ તમામ મુદ્દાઓને એકસાથે જોવાની જરૂર છે." આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો કે, "ભારતમાં ડ્રગ્સ મોકલવું પાકિસ્તાનની સરકારી નીતિનો એક ભાગ હતો."
'જલાલાબાદમાં અફીણનો પાક સારો થયો એટલે ચિંતા વધી જતી'
ગૃહ મંત્રાલયમાં થતી ચર્ચાઓનો ઉલ્લેખ કરતાં મણિએ કહ્યું, "અમે ઘણી વખત કહેતા હતા કે જો જલાલાબાદમાં અફીણનો પાક સારો થયો હોય તો ભારતમાં આતંકવાદી હુમલાઓનું જોખમ વધી શકે. અમે અંદાજ લગાવતા હતા કે આ વખતે જલાલાબાદમાં વધુ અફીણ તો નથી થઈ ને? નહીં તો આપણા માટે મુશ્કેલી વધી શકે." તેમણે દાવો કર્યો કે સુરક્ષા એજન્સીઓ અફઘાનિસ્તાનમાં થતી અફીણની ખેતી પર પણ સતત નજર રાખતી હતી, કારણ કે તેનો સંબંધ આતંકવાદી સંગઠનોના ભંડોળ સાથે જોડાતો હતો.
આ પણ ખાસ વાંચો : સ્ટાર ક્રિકેટરના લગ્નજીવનમાં તોફાન : પત્નીએ સોશિયલ મીડિયા પર ખોલ્યા ઘણા રહસ્યો, લગાવ્યા ગંભીર આરોપો
'હાઈ-પ્રોફાઈલ લોકોનો પણ ઉપયોગ થતો હતો'
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન ડ્રગ્સ ટ્રાફિકિંગ માટે જાણીતા ખેલાડીઓનો ઉપયોગ કરી શકે, ત્યારે તેમણે જવાબ આપ્યો, "મોહમ્મદ આસિફ અને શોએબ અખ્તર હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓ હતા. તેમના સિવાય પણ અન્ય લોકો હોઈ શકે છે જેમના નામ સામે આવ્યા નથી. પરંતુ તેમાં આખી ટીમ સામેલ હતી અને તેઓ આવું કરતાં હતા."
'પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ સૌથી મોટો દંભ'
ભારત-પાકિસ્તાન વચ્ચેના લોકોના સંપર્ક અંગે તેમણે કહ્યું, "'પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ' સૌથી મોટો છેતરપિંડીભર્યો વિચાર હતો, કારણ કે તેની આડમાં અનેક પ્રવૃત્તિઓ ચાલતી હતી અને ખોટા નેરેટિવ્સ ઉભા કરવામાં આવતા હતા." ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "IBનું કામ અમને એલર્ટ કરવાનું અને માહિતી આપવાનું હતું. અનેક અહેવાલો અને મૂવમેન્ટ રિપોર્ટ ગૃહ મંત્રાલયમાં ઉપલબ્ધ હતા. ત્યારબાદની કાર્યવાહી સંબંધિત વિભાગોની જવાબદારી હતી." ગૃહ મંત્રાલયમાં આવી માહિતી મળતી ત્યારે શું લાગતું હતું તે અંગે તેમણે કહ્યું, "ખૂબ ખરાબ લાગતું હતું." RVS મણિના આ નિવેદનો બાદ ફરી એકવાર ભારત-પાકિસ્તાન સંબંધો અને સુરક્ષા મુદ્દાઓ અંગે ચર્ચા શરૂ થઈ છે. જોકે, તેમના આ દાવાઓ અંગે અત્યાર સુધી ભારત સરકાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB), શોએબ અખ્તર, મોહમ્મદ આસિફ અથવા અન્ય સંબંધિત પક્ષો તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તેમજ આ દાવાઓને સમર્થન આપતા કોઈ જાહેર સત્તાવાર દસ્તાવેજ અથવા સ્વતંત્ર પુરાવા પણ ઉપલબ્ધ થયા નથી.





