New marriage rule : ભાગેડું લગ્નના કિસ્સાઓને લઈને લગ્ન નોંધણી પ્રક્રિયામાં રાજ્ય સરકારે મોટો અને મહત્વનો ફેરફાર કરી શકે છે. સૂત્રો પાપ્ત વિગતો મુજબ ભાગીને થતાં લગ્નોની નોંધણી હવે અગાઉની જેમ સરળતાથી નહીં થાય, પરંતુ તેમાં કડક નિયમો લાગુ કરવામાં આવી શકે છે. નવા નિયમ મુજબ ભાગેડું લગ્નની નોંધણી કરવા પહેલાં વર્ગ-2 અધિકારીની મંજૂરી ફરજિયાત રહેશે. વર્ગ-2 અધિકારીની મંજૂરી વગર તલાટી દ્વારા લગ્ન નોંધણી કરવામાં આવશે નહીં. જો કે, આ અંગ બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.
નિયમોમાં શું ફેરફાર થશે?
સૂત્રો પાપ્ત વિગતો મુજબ આ નવા નિયમ હેઠળ ભાગેડું લગ્નના કિસ્સામાં યુવક અને યુવતીના માતા-પિતાને નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યા બાદ માતા-પિતાને 30 દિવસની અંદર પોતાનો જવાબ રજૂ કરવો પડશે. આ પ્રક્રિયા દ્વારા લગ્ન સંબંધી કોઈ વિવાદ, દબાણ કે ગેરરીતિ થઈ હોય તો તેની તપાસ શક્ય બની રહેશે. યુવક-યુવતીના માતા-પિતા તરફથી મળતા જવાબને ધ્યાનમાં લઈને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
સરકારે આ નિર્ણય સમાજમાં વધતા ભાગેડું લગ્નના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફેરફારથી લગ્ન નોંધણી પ્રક્રિયામાં પારદર્શકતા વધશે અને કાયદાકીય પ્રક્રિયા વધુ મજબૂત બનશે. મળતી માહિતી મુજબ, આ નિયમોને કાલે યોજાનારી કેબિનેટ બેઠકમાં મંજૂરી મળ્યા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી શકે છે. કેબિનેટની મંજૂરી પછી રાજ્યભરમાં આ નવા નિયમો અમલમાં આવશે અને લગ્ન નોંધણી પ્રક્રિયામાં મહત્વનો બદલાવ જોવા મળશે તેવી સૂત્રો પાપ્ત વિગતો સામે આવી છે.





















