Gujarat Revenue Laws : રાજ્ય સરકાર હવે મહેસૂલ વિભાગના કેટલાક નિયમોમાં મોટાપાયે ફેરફાર કરી શકે છે. ટૂંક સમયમાં ગણોત ધારા, વારસાઈ નોંધ, હેતુફેર, ટોચ મર્યાદા સહિતના મહેસૂલી નિયમો બદલાઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે માટે મહેસૂલ વિભાગે ભૂતપૂર્વ આઇએએસ અધિકારી સી.એલ. મીણા અને જે કે આસ્તિકની આગેવાનીમાં બે અલગ-અલગ કમિટીઓનું ગઠન કર્યું છે. મીણા કમિટી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, 1879 તેમજ તેની સાથે સંલગ્ન જોગવાઈઓની સમીક્ષા અને જરૂરી સુધારા સૂચવી શકે છે. ઉલ્લેખનીય છે કે, જે અધિનિયમ સિવાયના કાયદા અને નિયમોમાં સુધારા માટે આસ્તિક કમિટીની રચના પણ કરવામાં આવી છે
મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ ઠરાવ બહાર પાડ્યો
આનુષાંગિક સુધારા ગુજરાત સરકારનો મહેસૂલ કરશે અને માટે વિધાનસભામાં બિલ લાવવું પડે તેમ હોય તો તે પ્રક્રિયા પણ કરશે. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ રીનીશ ભટ્ટે બહાર પાડેલા 22 ડિસેમ્બરના ઠરાવ મુજબ અભ્યાસ પૂર્ણ થયા બાદ સમિતિ રાજ્ય સરકારને 6 માસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. આપને જણાવીએ કે, કમિટીઓ મહેસૂલ વિભાગમાં ગણોતધારા, જમીન મહેસૂલ હેતુફેર, સંપાદન, આકારણી, જમીનની ફાળવણી સહિતના વિષયોમાં જરૂરી બદલાવો લાવવા માટેના સૂચનો સરકારને કરશે.
આ મહેસૂલી નિયમો બદલાશે
વારસાઈ, જમીન સંપાદન, જમીનની ફાળવણી, જમીનોના વ્યવહાર ડિજિટલ રેકર્ડ, અરજીઓ નામંજુર અને મંજૂરી પ્રક્રિયા, જમીન ધારણ ટોચ મર્યાદા, ખેડૂતની વ્યાખ્યા, બિનખેતી ઉપયોગ,જમીનની શરત, પ્રિમિયમની ગણતરી, ગણોતધારો, હેતુફેર, જમીન મહેસૂલ અને આકારણી, વારસાગત હક્કો અને લેવડદેવડ સંબંધિત મુદ્દાઓ જેવી બાબતો અંગે બદલાવ કરવા સૂચનો કરશે.
જમીન-મહેસૂલ કાયદાઓનું સરળીકરણ કરવા માટે સરકારને સૂચન કર્યા
વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ અને મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાએ જમીન-મહેસૂલ કાયદાઓનું સરળીકરણ કરવા માટે સરકારને સૂચન કર્યા હતાં. તે અન્વયે બે વર્ષ પહેલાં જ સરકારે મીણા કમિટી રચી હતી અને તેમાં નવી અને અવિભાજ્ય શરતની તેમજ પ્રતિબંધિત સત્તાપ્રકાર જમીનમાં બિનખેતી માટે પ્રિમિયમ ભરવું ન પડે તેવી ભલામણ કરાઇ હતી.





















