ગણતંત્ર દિવસ 2026ની પૂર્વ સંધ્યાએ દેશના રક્ષણ કાજે અપ્રતિમ સાહસ બતાવનાર પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ તેમજ નાગરિક સુરક્ષા અને સુધારાત્મક સેવાઓના કુલ 982 કર્મચારીઓને વિવિધ પદકોથી સન્માનિત કરવામાં આવ્યા છે. રવિવારે 25 જાન્યુઆરી 2026ના રોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ કુલ 125 વ્યક્તિઓને વીરતા પદક (GM) આપવામાં આવશે. આ સન્માનિતોમાં 121 પોલીસ જવાનો અને 4 અગ્નિશમન સેવાના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
શૌર્ય અને સાહસ માટે એવોર્ડ
વીરતા પદક (GM) એવા જવાનોને આપવામાં આવે છે જેમણે જીવના જોખમે મિલકતની રક્ષા કરી હોય, ગુનાખોરી ડામી હોય અથવા ખતરનાક ગુનેગારોને પકડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હોય. આ એવોર્ડ માટે જોખમનું મૂલ્યાંકન અધિકારીની ફરજો અને જવાબદારીઓના આધારે કરવામાં આવે છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસનો દબદબો
પુરસ્કારોની વિગતો જોઈએ તો જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રના જવાનોને સૌથી વધુ 45 વીરતા પદક પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત નક્સલ પ્રભાવિત વિસ્તારોના 35 જવાનો, ઉત્તર પૂર્વના 5 અને અન્ય ક્ષેત્રોના 40 જવાનોને તેમના અસાધારણ કાર્ય માટે નવાજવામાં આવ્યા છે. રાજ્યોની દ્રષ્ટિએ જમ્મુ અને કાશ્મીર પોલીસને સૌથી વધુ 33 મેડલ મળ્યા છે. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલીસને 31, ઉત્તર પ્રદેશ પોલીસને 18 અને દિલ્હી પોલીસને 14 પદક એનાયત થયા છે. Central Armed Police Forces (CAPF) માં CRPF એકમાત્ર એવું દળ છે જેને 12 વીરતા પદક મળ્યા છે.
સેવાની વિશિષ્ટતાનું સન્માન
વીરતા પદક સિવાય અન્ય શ્રેણીઓમાં પણ સન્માન આપવામાં આવ્યા છે. જેમાં વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક (PSM) અને મૂલ્યવાન સેવા માટે મેધાવી સેવા પદક (MSM) નો સમાવેશ થાય છે. કુલ 982 સન્માનિતોમાં:
125 કર્મચારીઓને વીરતા પદક (GM)
101 કર્મચારીઓને રાષ્ટ્રપતિ પદક (PSM)
756 કર્મચારીઓને મેધાવી સેવા પદક (MSM)
આ એવોર્ડ્સ જવાનોની નિષ્ઠા, કર્તવ્ય પરાયણતા અને દેશ પ્રત્યેના તેમના સમર્પણનું પ્રતીક છે.





















