Royal Challengers Bangalore : IPL 2026 ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ફેન્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. કર્ણાટક સરકારે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આગામી સિઝનની 5 હોમ મેચો યોજવા માટે સત્તાવાર પરવાનગી આપી દીધી છે. લાંબી રાહ જોયા બાદ હવે નક્કી થયું છે કે, બેંગ્લોરના ફેન્સ વિરાટ કોહલી અને ટીમના અન્ય ફેવરિટ ખેલાડીઓને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમતા જોઈ શકશે.
સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા
આ નિર્ણય કર્ણાટકના ગૃહમંત્રી ડૉ. જી. પરમેશ્વરની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ લેવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં સુરક્ષાના તમામ માપદંડો અને ભીડને નિયંત્રિત કરવાની ક્ષમતાની તપાસ નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવી હતી. સમિતિએ સ્ટેડિયમમાં કરાયેલા નવા ફેરફારો અને વ્યવસ્થાઓ પર સંતોષ વ્યક્ત કરતાં RCB ને 5 હોમ મેચો માટે ગ્રીન સિગ્નલ મળી ગયું છે.
દુર્ઘટના બાદ લેવાયેલ સાવચેતી
વર્ષ 2025 માં RCB ની જીત બાદ થયેલી નાસભાગની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક રાખવામાં આવી છે. અગાઉ સુરક્ષાના કારણોસર T20 વર્લ્ડ કપની મેચો પણ અહીંથી ખસેડવી પડી હતી, પરંતુ હવે સ્ટેડિયમ પ્રશાસને પ્રેક્ષકોની સલામતી માટે જરૂરી તમામ પાલન સુનિશ્ચિત કર્યું છે, જેનાથી સરકાર હવે મેચ યોજવા સંમત થઈ છે.
પ્રથમ મુકાબલો SRH સામે
બેંગ્લોરના આ ઐતિહાસિક મેદાન પર સિઝનની પહેલી મેચ 28 માર્ચના રોજ રમાશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે થશે. બેંગ્લોરને કુલ 5 મેચોના આયોજનની મંજૂરી મળતા સ્ટેડિયમમાં ફરી એકવાર ક્રિકેટનો જબરદસ્ત માહોલ જોવા મળશે.
તૈયારીઓ શરૂ કરવામાં આવી
KSCA અને RCB પ્રશાસને 5 મેચોના સફળ સંચાલન માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે. ટિકિટ વેચાણ અને સ્ટેડિયમ એન્ટ્રીના નિયમોમાં પણ નવા સુધારા જોવા મળી શકે છે જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. ફેન્સ માટે આ સિઝન ખૂબ જ ખાસ બની રહેશે કારણ કે, તેમને હોમ ગ્રાઉન્ડ પર મર્યાદિત પરંતુ મહત્વની મેચો માણવા મળશે.




















