સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના હવે સત્તાવાર રીતે એકબીજાના જીવનસાથી બની ગયા છે. ઉદયપુરમાં શાહી ઠાઠમાઠ સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ આ નવદંપતી હૈદરાબાદ પરત ફર્યું હતું અને આજે વહેલી સવારે આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા પહોંચ્યું હતું. સોશિયલ મીડિયા પર આ કપલના દર્શન કરતા વીડિયો અને તસવીરો વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. લગ્ન બાદ રશ્મિકાનો પરંપરાગત અંદાજ જોઈને ચાહકો તેના પર ફિદા થઈ ગયા છે. આ સાથે જ કપલે પોતાના લગ્નની ખુશીમાં આખા દેશમાં મીઠાઈ વહેંચવાની અને અન્નદાન કરવાની પણ જાહેરાત કરી છે.
ગત 26 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરના આલીશાન રિસોર્ટમાં વિજય અને રશ્મિકાએ સાત ફેરા લીધા હતા. લગ્નની વિધિઓ પતી ગયાના બીજા જ દિવસે આ જોડી ભગવાનના શરણે પહોંચી હતી. તિરુમાલા પહાડી પર સ્થિત મંદિરમાં દર્શન કરવા પહોંચેલા આ સ્ટાર કપલને જોવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી.
કાંજીવરમ સાડી અને સોનાના ઘરેણાંમાં રશ્મિકાનો દેશી લુક
વાયરલ વીડિયોમાં રશ્મિકા મંદાના શુદ્ધ કાંજીવરમ સાડીમાં અત્યંત સુંદર લાગી રહી હતી. તેણે ગળામાં મંગળસૂત્ર અને પરંપરાગત સોનાના ઘરેણાં ધારણ કર્યા હતા. તો બીજી તરફ વિજય દેવરકોંડા પણ ટ્રેડિશનલ વ્હાઈટ આઉટફિટ અને નારંગી શાલમાં હેન્ડસમ દેખાતો હતો. વિજયનો ભાઈ આનંદ દેવરકોંડા પણ આ ખાસ પ્રસંગે તેમની સાથે હાજર રહ્યો હતો.
ચાહકોનો માન્યો આભાર
મંદિર પરિસરમાં આ જોડીને જોવા માટે પડાપડી થઈ હતી. ઘણા ફેન્સ તેમની સાથે સેલ્ફી લેવા માંગતા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર તે શક્ય બન્યું ન હતું. જોકે, વિજય અને રશ્મિકાએ ખૂબ જ નમ્રતાપૂર્વક હાથ હલાવીને તમામ ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું અને તેમની શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
દેશભરના ૧૬ મંદિરોમાં અન્નદાન અને ૨૧ શહેરોમાં મીઠાઈ
રશ્મિકા અને વિજયે માત્ર પોતાના સુધી જ આ ખુશી સીમિત નથી રાખી. કપલે ઇન્સ્ટાગ્રામ પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જારી કરીને જાહેરાત કરી છે કે તેઓ ૧ માર્ચના રોજ દેશના ૨૧ મોટા શહેરોમાં મીઠાઈ ભરેલા ટ્રક મોકલશે જેથી સામાન્ય જનતા પણ તેમના લગ્નની ઉજવણીનો ભાગ બની શકે. આ ઉપરાંત, દેશભરના 16 પવિત્ર મંદિરોમાં અન્નદાન કરવાની પણ તેમણે પ્રતિજ્ઞા લીધી છે.
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ઇન્સ્ટાગ્રામ પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જારી કર્યું છે. આ સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે, આ દેશના લોકો, હંમેશ માટે અમારા પ્રેમનો હિસ્સો રહ્યાં છે. તમારા બધાની સાથે લગ્નનો જશ્ન મનાવવો અમારી માટે ખુશીની વાત હશે. ભારતમાં દરેક તહેવારની ઉજવણી મીઠાઈ સાથે મનાવવામાં આવે છે. આ માટે 1 માર્ચના રોજ અમે દેશભરમાં મીઠાઈઓ ભરેલા ટ્રક મોકલીશું જેથી કરીને તમે આ ખાસ પળને અમે તમારી સાથે પણ શેર કરી શકીએ. આ સાથે જ અમે દેશભરના અનેક મંદિરોમાં અન્નદાન પણ કરીશું. તમારા બધાના આશીર્વાદ, વિથ લવ, વિજય અને રશ્મિકા.




















