બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાયો છે. કર્ણાટકની પવિત્ર 'ચામુંડી દૈવ' પરંપરાનું કથિત રીતે અપમાન કરવા અને હિન્દુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ અભિનેતા વિરુદ્ધ બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. આ વિવાદ ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' થી પ્રેરિત એક પરફોર્મન્સ સાથે જોડાયેલો છે. જોકે રણવીરે અગાઉ સોશિયલ મીડિયા દ્વારા માફી માંગી હતી, પરંતુ કાયદાકીય સકંજો હવે કસાઈ રહ્યો છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ગંભીર કલમો હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે, જેની સુનાવણી આગામી 8 એપ્રિલે કોર્ટમાં હાથ ધરવામાં આવશે.
શું છે સમગ્ર વિવાદ? જાણો કઈ ઘટનાએ પકડ્યું જોર
આ સમગ્ર મામલો 28 નવેમ્બર, 2025 ના રોજ ગોવા ખાતે યોજાયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના સમાપન સમારોહ સાથે જોડાયેલો છે. આ કાર્યક્રમ દરમિયાન રણવીર સિંહે 'કાંતારા' ફિલ્મથી પ્રેરિત થઈને સ્ટેજ પર એક પરફોર્મન્સ આપ્યું હતું. આરોપ છે કે રણવીરે આ દરમિયાન પવિત્ર 'દૈવ' પરંપરાની નકલ કરી હતી. સોશિયલ મીડિયા પર આ પર્ફોર્મન્સનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અભિનેતા પર પવિત્ર ધાર્મિક વિધિની મજાક ઉડાવવાનો આરોપ મૂક્યો હતો.
ભૂલ સ્વીકારી પણ વિવાદ ન શમ્યો
લોકોનો રોષ જોઈને રણવીર સિંહે તુરંત જ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ દ્વારા જાહેર માફી માંગી હતી. તેણે સ્પષ્ટતા કરી હતી કે તેનો હેતુ કોઈની પણ પરંપરા કે સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. જોકે, આ માફી બાદ પણ કાયદાકીય કાર્યવાહી અટકી નથી અને મહિનાઓ બાદ હવે બેંગલુરુમાં તેની સામે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે.
ગંભીર કલમો હેઠળ FIR અને ગંભીર આરોપો
બેંગલુરુના એડવોકેટ પ્રશાંત મેથલ દ્વારા નોંધાવવામાં આવેલી આ ફરિયાદમાં રણવીર સિંહ વિરુદ્ધ અત્યંત ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, રણવીર સિંહે તટીય કર્ણાટકની અત્યંત પવિત્ર ગણાતી પંજુર્લી અને ગુલિગા દૈવ પરંપરા સાથે જોડાયેલા વિશિષ્ટ હાવભાવને સ્ટેજ પર અત્યંત અશોભનીય અને રમૂજી રીતે રજૂ કરીને તેનું અપમાન કર્યું છે. આરોપમાં વધુમાં જણાવાયું છે કે, અભિનેતાએ પૂજનીય 'ચામુંડી દૈવ' માટે 'ફિમેલ ઘોસ્ટ' (સ્ત્રી ભૂત) જેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો, જે આ પરંપરામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકોની ધાર્મિક ભાવનાઓ અને પ્રાચીન માન્યતાઓનું ગંભીર અપમાન છે. આ મામલે રણવીર સિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196, 299 અને 302 જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
8 એપ્રિલે કોર્ટમાં થશે સુનાવણી
આ મામલો હવે બેંગલુરુની 1st એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (CMM) કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે આ કેસની સુનાવણી માટે 8 એપ્રિલ ની તારીખ નક્કી કરી છે. હાલમાં રણવીર સિંહ કે તેની ટીમ તરફથી આ FIR અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. કર્ણાટકના તટીય વિસ્તારોમાં 'દૈવ' પરંપરા અત્યંત શ્રદ્ધાનો વિષય હોવાથી આ કેસ આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી શક્યતા છે.




















