જાણીતા ફિલ્મ મેકર અને ડાયરેક્ટર રામ ગોપાલ વર્માને જેલ જવું પડી શકે છે. તેમની મુશ્કેલીઓ વધી છે કારણ કે ચેક બાઉન્સ કેસમાં ફિલ્મ મેકરને મુંબઈ કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી છે. 2018ના એક મામલામાં સાત વર્ષ બાદ મુંબઈ કોર્ટે ફિલ્મ મેકરને બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યું છે. ત્રણ મહિના જેલમાં રહેવા ઉપરાંત, ફિલ્મ નિર્માતાએ ફરિયાદીને વળતર તરીકે 3.75 લાખ રૂપિયા પણ ચૂકવવા પડશે. જો રામ ગોપાલ વર્મા ત્રણ મહિનાની અંદર ફરિયાદીને આ રકમ ચૂકવશે નહીં, તો તેમને વધુ ત્રણ મહિના જેલમાં રહેવું પડશે.
રામ ગોપાલ વર્માની પ્રતિક્રિયા
રામ ગોપાલ વર્માએ x પર પોસ્ટ કરીને આ બાબતે પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું- 'મારા અને અંધેરી કોર્ટ વિશેના સમાચાર અંગે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ મારા ભૂતપૂર્વ કર્મચારી સાથે સંબંધિત 2 લાખ 38 હજાર રૂપિયાનો 7 વર્ષ જૂનો કેસ છે. મારા વકીલો તેની તપાસ કરી રહ્યા છે અને મામલો કોર્ટમાં હોવાથી, હું વધુ કંઈ કહી શકતો નથી.
શું છે મામલો?
રામ ગોપાલ વર્માનો ચેક બાઉન્સ વિશેનો આ મામલો 2018નો છે. જ્યારે શ્રી રામ નામની કંપનીએ રામ ગોપાલ વર્માની ફર્મ સામે કેસ કર્યો હતો. 2022માં આ મામલે રામ ગોપાલ વર્માને જામીન મળ્યા હતા. આ મામલે કામ ગોપાલ વર્માએ કહ્યું છે કે, આ ૨.૩૮ લાખ રૂપિયાના સમાધાન વિશે નથી. તે વિવાદ ઊભો કરવાના પ્રયાસોમાં શોષણ થવાનો ઇનકાર કરવા વિશે હતું. ગમે તે હોય, હમણાં હું આટલું જ કહી શકું છું.




















