બોલિવૂડની કલ્ટ ક્લાસિક ફિલ્મ 3 ઇડિયટ્સના ચાહકો માટે મોટી ખુશખબર છે. 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મની સિક્વલ હવે ઓફિશિયલી બની રહી છે, અને તેનું ટેમ્પરરી વર્કિંગ ટાઇટલ 4 ઇડિયટ્સ રાખવામાં આવ્યું છે. રાજકુમાર હિરાનીના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મમાં ઓરિજિનલ કાસ્ટ – આમિર ખાન, આર. માધવન, શર્મન જોશી અને કરીના કપૂર ખાન – પોતાના રોલમાં વાપસી કરશે. પરંતુ આ વખતે એક નવો ચોથો મુખ્ય પાત્ર ઉમેરાશે, જેની શોધમાં મેકર્સ સક્રિય છે અને તે કોઈ મોટો સુપરસ્ટાર હોઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે અને શૂટિંગ 2026માં શરૂ થશે. વિધુ વિનોદ ચોપરા આ ફિલ્મને હિરાની અને આમિર ખાન સાથે મળીને પ્રોડ્યૂસ કરશે. એક અંદરૂની સૂત્રે જણાવ્યું કે, "સ્ક્રિપ્ટ હાલ '4 ઇડિયટ્સ' ટાઇટલ હેઠળ ડેવલપ થઈ રહી છે, જોકે આ ટાઇટલ બદલાઈ પણ શકે છે. મેકર્સ ઓરિજિનલ ત્રણેયને આગળ વધારવા માટે એક સુપરસ્ટારની તલાશમાં છે."ફિલ્મની વાર્તા પહેલા ભાગના અંતથી આગળ વધશે, પરંતુ તે માત્ર સાદી કન્ટિન્યુએશન નહીં હોય. ચોથા પાત્રને જસ્ટિફાઇ કરવા માટે નવા તત્વો ઉમેરવામાં આવશે, જેથી ફિલ્મ વધુ મોટી અને બહેતર બને. ટીમનું માનવું છે કે આ સિક્વલ પણ પહેલા જેટલી જ મજેદાર, ભાવુક અને અર્થપૂર્ણ હશે.
ઓરિજિનલ કાસ્ટની વાપસી
આમિર ખાન (રેન્ચો), આર. માધવન (ફરહાન), શર્મન જોશી (રાજુ), કરીના કપૂર ખાન (પિયા)ની આ ફિલ્મે 2009માં રિલીઝ થતાં જ ઇતિહાસ રચ્યો હતો. ભારતની શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર કરતી આ ફિલ્મે દેશભરમાં ચર્ચા જગાવી અને પહેલી વાર 200 કરોડનો આંકડો પાર કરીને નવા બેન્ચમાર્ક સેટ કર્યા હતા. હવે 15 વર્ષ પછી તેની સિક્વલથી ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે.ચોથા 'ઇડિયટ' કોણ હશે તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. આ બોલ્ડ સ્ટેપથી ફિલ્મ વધુ રસપ્રદ બનશે તેવી આશા છે. ચાહકો હવે 'ઑલ ઇઝ વેલ' કહીને આ સિક્વલની રાહ જોઈ રહ્યા છે!




















