Home Gujarat Rajkot Rajkot Indigo Flight 6e1452 Emergency Landing Safe

'મેડે... મેડે... મેડે' કોલ બાદ રાજકોટ એરપોર્ટ પર હાઈ એલર્ટ : ઇન્ડિગો ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ મુદ્દે રાજકોટ જિલ્લા કલેક્ટરનું નિવેદન

Rajkot Airport
Published by: OBS Bureau
Last Updated: Jul 27, 2026, 01:09 PM IST

Rajkot Airport: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1452નું સોમવારે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટના પાયલોટને કાર્ગો વિભાગમાંથી ધૂમાડો દેખાતાની આશંકા થતાં તેમણે એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ને 'મેડે... મેડે... મેડે' કોલ આપ્યો હતો. ત્યારબાદ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ATC દ્વારા તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી તરફથી ઇમરજન્સી લેન્ડિંગ અંગેની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો એરપોર્ટ પર દોડી આવી હતી. કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે કુલ 70 એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

રાજકોટ એરપોર્ટ પર દોડી આવી ડોગ સ્કવોડ સહિતની ટીમો : પેસેન્જર પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ કાર્યવાહી, વિમાનમાં ધુમાડો ક્યાંથી આવ્યો તેની થશે તપાસ

તમામ મુસાફરો અને ક્રૂ સલામત

જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ ફ્લાઇટમાં કુલ 194 લોકો સવાર હતા, જેમાં 187 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બરોનો સમાવેશ થાય છે. ઇમરજન્સી લેન્ડિંગ બાદ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઇજાના સમાચાર નથી.

ઘટના દરમિયાન સુરક્ષા એજન્સીઓ અને એરપોર્ટ સત્તાવાળાઓએ તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કર્યું હતું. વિમાનને સુરક્ષિત સ્થળે ખસેડી તેની તકનીકી તપાસ શરૂ કરવામાં આવી છે. કાર્ગો વિભાગમાં ધૂમાડાની આશંકાનું ચોક્કસ કારણ જાણવા માટે એરલાઇન અને સંબંધિત તકનીકી ટીમ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અમદાવાદ પ્લેશ ક્રેશ જેવી ઘટના ટળી! તાળવે ચોંટ્યો હતો 194 લોકોનો જીવ : ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો, સ્મોક એલર્ટથી રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ

મુખ્યમંત્રીએ સ્થિતિ પર નજર રાખી

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોન પર વાત કરી હતી અને સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે મુસાફરોની સુરક્ષા અને જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપી હોવાનું જાણવા મળ્યું છે.

ઇમરજન્સી લેન્ડિંગ જેવી પરિસ્થિતિમાં એરપોર્ટ, એર ટ્રાફિક કન્ટ્રોલ, એરલાઇન, પોલીસ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગ વચ્ચે ઝડપી સંકલન અત્યંત મહત્વપૂર્ણ હોય છે. રાજકોટ એરપોર્ટ પર તમામ વિભાગોએ સમયસર પ્રતિસાદ આપતાં સંભવિત ગંભીર પરિસ્થિતિને સફળતાપૂર્વક નિયંત્રિત કરી હતી.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ રાજકોટમાં કોંગ્રેસની વિજય રેલી : શિક્ષણ મંત્રીના રાજીનામાને યુવાનો અને વિદ્યાર્થીઓના સંઘર્ષનું પરિણામ ગણાવ્યું

ફ્લાઇટની તપાસ ચાલુ

હાલમાં ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1452નું વિગતવાર તકનીકી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કાર્ગો વિભાગમાં ધૂમાડાની આશંકા શા માટે સર્જાઈ તે અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર કારણ સ્પષ્ટ થશે. અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી મુજબ તમામ મુસાફરો અને ક્રૂ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now