મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 'મત ચોરી'ના આરોપોને સમર્થન આપ્યું છે. શનિવારે પુણેમાં પાર્ટીના અધિકારીઓની બેઠકમાં રાજ ઠાકરેએ કહ્યું કે મતદાનમાં ગેરરીતિનો મુદ્દો નવો નથી. તેમણે દાવો કર્યો હતો કે તેમણે 2016-17માં જ આ અંગે ચેતવણી આપી હતી. રાજ ઠાકરેએ કહ્યું કે, ''તે સમયે તેઓ શરદ પવાર, સોનિયા ગાંધી અને મમતા બેનર્જીને મળ્યા હતા. એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી, પરંતુ વિપક્ષે કોઈ નક્કર પગલાં લીધાં ન હતા. ઠાકરેએ કહ્યું - મેં ત્યારે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું કહ્યું હતું. જેનાથી આ મુદ્દો વિશ્વભરમાં હેડલાઇન્સ બન્યો હોત અને આંતરરાષ્ટ્રીય દબાણ સર્જાયું હોત, પરંતુ બધા પાછળ હટી ગયા. આજે રાહુલ ગાંધીએ આ મુદ્દો ફરીથી ઉઠાવ્યો છે. લોકો મતદાન કરી રહ્યા છે, પરંતુ મત ઉમેદવારો સુધી પહોંચી રહ્યા નથી, તેમની ચોરી થઈ રહી છે''.
''...ગેરરીતિનો લાભ લઈને સરકારો બનાવવામાં આવી છે''
MNSના વડાએ વધુમાં કહ્યું કે, ''2014થી આ ચૂંટણીમાં ગેરરીતિનો લાભ લઈને સરકારો બનાવવામાં આવી છે. ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું ઉદાહરણ આપતા કહ્યું- ભાજપને 132 બેઠકો મળી, એકનાથ શિંદેને 56 અને અજિત પવારને 42 બેઠકો મળી. આટલા મોટા આંકડા હોવા છતાં, ન તો વિજેતા ખુશ હતા કે ન તો હારેલા. કારણ કે આ આખો મામલો મત ગોટાળાનો હતો. પોતાના કાર્યકરોને ચેતવણી આપતા રાજ ઠાકરેએ કહ્યું કે, ''આગામી નાગરિક ચૂંટણીઓમાં તેમણે સાવધ રહેવું પડશે. તેમણે સૂચના આપી હતી કે મતદાર યાદી પર ઊંડાણપૂર્વક કામ કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ગોટાળા અટકાવી શકાય.
''છેલ્લા 10-12 વર્ષનો ખેલ ખુલીને સામે આવશે''
ઠાકરેએ ચૂંટણી પંચની તાજેતરની પ્રેસ કોન્ફરન્સનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ''ચૂંટણી પંચે રાહુલ ગાંધીને સોગંદનામું લખવા કહ્યું, જ્યારે રાહુલ વિપક્ષના નેતા છે. તે જ સમયે, ભાજપના નેતા અનુરાગ ઠાકુરે પણ 6 બેઠકો પર ગોટાળાનો આરોપ લગાવ્યો. એટલે કે, હવે શાસક પક્ષ અને વિપક્ષ બંને ચૂંટણી ગોટાળાની વાત કરી રહ્યા છે. છતાં ચૂંટણી પંચ ચૂપ છે, કારણ કે છેલ્લા 10-12 વર્ષનો ખેલ ખુલીને સામે આવશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો આપણે ખરેખર ચૂંટણી ગોટાળાનો પર્દાફાશ કરવા માંગીએ છીએ અને સત્તામાં આવવા માંગીએ છીએ, તો પહેલા મતદાર યાદીમાં સુધારો કરવો પડશે. જ્યાં સુધી મતદાર યાદીમાં સુધારો ન થાય ત્યાં સુધી જીતવું મુશ્કેલ છે''.






