પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકારના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમણે ગુજરાતમાં પાર્ટીના સંગઠન, આવનારી ચૂંટણી, શિક્ષણ-સ્વાસ્થ્ય મોડલ અને વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા.
'ગુજરાતમાં AAP સંગઠન સતત મજબૂત બની રહ્યું છે'
ભગવંત માને જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સતત મજબૂત બની રહ્યું છે. ગામે ગામ અને શહેરોમાં મોટી સંખ્યામાં સભાઓ યોજાઈ રહી છે અને જનતા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલીયાની જીતને એક મોટો સંકેત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ જીતથી ગુજરાતમાં રાજકીય બદલાવની શરૂઆત થઈ છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય મુદ્દે બોલતા ભગવંત માને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલનું શિક્ષણ અને આરોગ્યનું મોડલ દિલ્હી બાદ હવે પંજાબમાં પણ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં આ જ મોડલ ગુજરાતમાં પણ અમલમાં લાવવામાં આવશે.
'
'ઇલેક્શન કમિશને સામે આવીને સંતોષકારક પગલાં લેવા જોઈએ'
તેમણે SIR (Special Intensive Revision)ની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ભગવંત માને કહ્યું હતું કે જો SIRની પ્રક્રિયા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો ઇલેક્શન કમિશને સામે આવીને સંતોષકારક પગલાં લેવા જોઈએ. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો SIR દ્વારા નકલી જનતા તૈયાર થતી રહેશે તો પછી જનતંત્ર કેવી રીતે ટકી રહેશે તે મોટો પ્રશ્ન બની રહેશે. UGC સંબંધિત મુદ્દે પણ તેમણે નિવેદન આપ્યું હતું. ભગવંત માને જણાવ્યું હતું કે જો UGCના નિયમોને લઈને કોઈ સવાલો ઊભા થઈ રહ્યા છે તો તેની યોગ્ય અને સંતોષકારક ઇન્સ્પેક્શન થવું જોઈએ, જેથી શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે.





















